
હાલમાં એક મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં 4 કિડની ઉપલબ્ધ હોવાનું જણાવવામાં આવી રહ્યો છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “એક પતિ-પત્નીનું મૃત્યુ થતા ડોક્ટરે તેને બ્રેઈન ડેડ જાહેર કર્યા છે અને તેમની ચાર કિડની દાનમાં આપવાની છે..”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ ઘટના હાલમાં નથી બની. આ પોસ્ટ લોકોને ભ્રામક કરવા માટે જ શેર કરવામાં આવી હોવાનું સાબિત થાય છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Hareeshchandra Thakkar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 એપ્રિલ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “એક પતિ-પત્નીનું મૃત્યુ થતા ડોક્ટરે તેને બ્રેઈન ડેડ જાહેર કર્યા છે અને તેમની ચાર કિડની દાનમાં આપવાની છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને આ જ મેસેજ Yourquote નામની વેબસાઈટ પર પ્રાપ્ત થયો હતો. જે મેસેજ 2 મે 2018ના પ્રસારિત કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ અમે સાથે શેર કરવામાં આવેલા નંબર પર ફોન કર્યો હતો. પોસ્ટમાં શેર કરવામાં આવેલા ત્રણ પૈકીના બે નંબર બંધ આવી રહ્યા હતા. જ્યારે ત્રીજા નંબર પર ફોન લાગતો હતો. પરંતુ તેમાં કોઈ જવાબ મળ્યો ન હતો. પરંતુ સામા પક્ષેથી મેસેજ આવ્યો હતો કે, “The post related to kidney availability is totally wrong and is circulated by some mischievous person. pls ignore it.” જે તમે નીચે વાંચી શકો છો.

ત્યાર બાદ અમારી પડતાલને અમે આગળ વધારી હતી, તો અમને જાણવા મળ્યુ હતુ કે, જે નંબર પરથી મેસેજ આવ્યો તે મેરઠના ડોક્ટર સંદિપ ગર્ગનો નંબર છે. smhoaxslaver નામની વેબસાઈટ દ્વારા ડો. સંદિપ ગર્ગનું ઈન્ટરવ્યુ લેવામાં આવ્યુ હતુ. જેમાં ડો. સંદિપ ગર્ગએ જણાવ્યુ હતુ કે, “તેઓ વર્ષ 2017થી આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તેઓએ પહેલા પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. બાદમાં સાઈબર સેલમાં પણ ફરિયાદ નોધાવી છે. તેઓ આ નંબરને છોડવા નથી માંગતા કારણ કે, તેઓ છેલ્લા 13 વર્ષથી આ નંબરનો ઉપયોગ કરી રહ્યા છે અને તેના વધુમાં વધુ દર્દીઓ પાસે પણ આ જ નંબર છે. ડો.ગર્ગનું માનવુ છે કે આ કોઈ અસામાજીક તત્વ દ્વારા કારસ્તાન આચરવામાં આવ્યુ છે. જે તેમને પરેશાન કરવાના ઉદેશથી ફેલાવી રહ્યા છે.”
વર્ષ 2019માં પણ આ જ મેસેજ વાયરલ થયો હતો. તે સમયે પણ ગુજરાતી ફેક્ટક્રેસન્ડો દ્વારા પડતાલ કરી અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ ઘટના હાલમાં નથી બની. આ પોસ્ટ લોકોને ભ્રામક કરવા માટે જ શેર કરવામાં આવી હોવાનું સાબિત થાય છે.

Title:કિડની ડોનેશનના નામે ફરી ભ્રામક મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ…જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: False
