
હાલ ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સોશિયલ મિડિયા પણ અનેક મેસેજો વાયરલ થઈ રહ્યા છે. હાલ રાજકોટ મિરરની ન્યુઝ પ્લેટ વાયરલ થઈ રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાજકોટ શહેરમાં સોમવારથી અડધા દિવસનું લોકડાઉન રહેશે, બપોરના બે વાગ્યા બાદ તમામ બજારો બંધ રહેશે.”
ફેક્ટ ક્રેસસેન્ડોના વાચકોએ આ મેસેજને અમારી વોટ્સએપ હેલ્પલાઇન નંબર (9049053770) પર મોકલીને હકીકત તપાસની વિનંતી કરી છે.
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, અડધા દિવસના લોકડાઉનની જાહેરાત મોરબી શહેરમાં કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં આ પ્રકારે લોકડાઉનની જાહેરાત કરાઈ નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Sangeeta Shah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 03 એપ્રિલ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રાજકોટ શહેરમાં સોમવારથી અડધા દિવસનું લોકડાઉન રહેશે, બપોરના બે વાગ્યા બાદ તમામ બજારો બંધ રહેશે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે આ અંગે સર્ચ કરતા અમને ગુજરાત મિરર ન્યુઝના ફેસબુક પેજ પર ઓરિજનલ પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં “મોરબીમાં અડધા દિવસના લોકડાઉનના એલાનનો વેપારીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યુ છે.” જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ આ અંગેની જાણ રાજકોટ મિરરના મેનેજિંગ એડિટર પ્રતિપાલસિંહ જાડેજા દ્વારા તેમના ફેસબુક એકાઉન્ટ પર વાયરલ પોસ્ટને લઈ ખુલાસો કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યુ હતુ કે, “જાહેર જનતાને ગેરમાર્ગે દોરવાનું કાવતરું કરનાર સામે પોલીસ ફરિયાદ નોંધાવેલ છે, લોકડાઉન જેવા ગંભીર વિષય પર પાયા વિહોણા સમાચાર એક પ્રતિષ્ઠિત મીડિયા તથા લોકચાહના ધરાવતા બેનર હેઠળ પ્રસિદ્ધ કરવું એ ગુના પાત્ર કૃત્ય છે જેની ભાન મારી ટીમ સ્વયં કરાવશે….. ભૂતકાળમાં પણ રાજકોટ મિર૨ ના નામે આવી કામગીરી કરેલ વ્યક્તિ ને ૧૨ કલાકની અંદર જ જેલ હવાલે કરાયો હતો…”
તેમજ અડધા દિવસના લોકડાઉનની જાહેરાત માત્ર મોરબીમાં જ કરવામાં આવી છે. જે સમાચારને દિવ્યભાસ્કર, સંદેશ, ગુજરાત સમાચાર દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, અડધા દિવસના લોકડાઉનની જાહેરાત મોરબી શહેરમાં કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં આ પ્રકારે લોકડાઉનની જાહેરાત કરાઈ નથી.

Title:શું ખરેખર રાજકોટમાં અડધા દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી…?
Fact Check By: Yogesh KariaResult: False
