શું ખરેખર નીતા અંબાણી અયોધ્યાના રામ મંદિર માટે 33 કિલો સોનાના 3 મુકુટ દાન કરશે…? જાણો શું છે સત્ય….

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર નીતા અંબાણી અને અનિલ અંબાણીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, નીતા અંબાણી દ્વારા અયોધ્યા ખાતે બની રહેલા રામ મંદિરની મૂર્તિઓ માટે 33 કિલો સોનાના 3 મુકુટ દાન કરવામાં આવશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલા દાવાનું રિલાયન્સ ગ્રુપના મીડિયા ડિપાર્ટમેન્ટ તેમજ રામ મંદિર તીર્થ ક્ષેત્ર, અયોધ્યા દ્વારા ખંડન કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી વાયરલ કરવામાં આવી રહી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Shailesh Nathwani નામના ફેસબુક યુઝર દ્વારા 18 ફેબ્રુઆરી, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા અનિલ અંબાણી અને નીતા અંબાણીના ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, નીતા અંબાણી દ્વારા અયોધ્યા ખાતે બની રહેલા રામ મંદિરની મૂર્તિઓ માટે 33 કિલો સોનાના 3 મુકુટ દાન કરવામાં આવશે.

screenshot-www.facebook.com-2021.02.19-22_36_48.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી કે સમાચાર પ્રાપ્ત થયા નહતા. 

ત્યાર બાદ અમે આ માહિતીની પુષ્ટી કરવા માટે રિલાયન્સ ઇન્ડિયાનો સંપર્ક કરતાં તેમના મીડિયા ડિપાર્ટમેન્ટ દ્વારા અમને જણાવવામાં આવ્યું હતું કે, “સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી માહિતી તદ્દન ખોટી અને ભ્રામક છે. નીતા અંબાણી કે રિલાયન્સ દ્વારા આ પ્રકારના દાનની કોઈ જ જાહેરાત કરવામાં નથી આવી.”

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રમાં ડૉ. અનિલ મિશ્રાનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “વાયરલ થઈ રહેલી માહિતી ખોટી છે. જો આ પ્રકારે કોઈ પણ દાનની જાહેરાત કરવામાં આવે તો સૌપ્રથમ અમને તેની જાણ કરવામાં આવે છે પરંતુ હજુ અમારા સુધી આ પ્રકારના દાનનો કોઈ પ્રસ્તાવ તેમના તરફથી આવ્યો નથી.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા દાવાનું રિલાયન્સ ગ્રુપના મીડિયા ડિપાર્ટમેન્ટ તેમજ રામ મંદિર તીર્થ ક્ષેત્ર, અયોધ્યા દ્વારા ખંડન કરવામાં આવ્યું છે.

Avatar

Title:શું ખરેખર નીતા અંબાણી અયોધ્યાના રામ મંદિર માટે 33 કિલો સોનાના 3 મુકુટ દાન કરશે…?

Fact Check By: Vikas Vyas 

Result: False