ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. દિશા વાકાણીના ભાઈ મયુર વાકાણી દ્વારા દિશાબેન એકદમ સ્વસ્થ હોવાનું જણાવવામાં આવ્યુ છે અને આ વાત ને રદ્દિયો આપવામાં આવ્યો હતો.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયા બેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણી વિશે એક મોટું અપડેટ સામે આવ્યું છે. ઘણા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે દિશાને ગળાનું કેન્સર છે. તે ગળાના કેન્સરનો સામનો કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ‘દયા બેન’ના પાત્રને કારણે તેને ગળાનું કેન્સર થયું છે. દિશા શોમાં વિચિત્ર અવાજમાં વાત કરતી હતી. દિશાને ક્યારે આ બીમારી વિશે ખબર પડી નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
News Gujarat નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 ઓક્ટોબર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “દિશા વાકાણી (દયાબેન)ને તેના વિચિત્ર અવાજ કાઢવાના કારણે ગળાનું કેન્સર થયુ.”

Facebook | Fb post Archive | Fb Article archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને આજતકનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દિશા વાકાણી સાથે કામ કરનાર દિલીપ જોશીએ “આ વાતને અફવા ગણાવી હતી.”
તેમજ આજતક સાથે તારક મહેતાના નિર્માતા અસિત મોદી વાત કરી હતી અને દિશા વાકાણીને કેન્સર હોવાના ફેક ન્યૂઝ પર એપિક પ્રતિક્રિયા આપી હતી. “કેન્સર અવાજ કરવાથી નહીં પણ તમાકુ ખાવાથી થાય છે. આ રીતે મિમિક્રી કરનારા બધા ડરી જશે. આ મામલે અસિત મોદી પાસે થોડી શક્તિ છે. તેમણે સાચું જ કહ્યું છે કે, જો આવી મિમિક્રી કરવાથી કે અલગ-અલગ અવાજમાં બોલવાથી ગળાનું કેન્સર થયું હોત તો દુનિયાના કરોડો મિમિક્રી કલાકારોનું શું થાત.”
તેમજ ઈ ટાઈમ્સ સાથે વાત કરતા દયા વાકાણીના ભાઈ મયુર વાકાણી (સુંદરભાઈ)એ જણાવ્યુ હતુ કે, “આ પ્રકારની અફવાઓ મીડિયામાં ફેલાઈ રહી છે અને તેમાં કોઈ સત્ય નથી. દરરોજ અમે આ પ્રકારની પાયાવિહોણી અફવાઓ સાંભળીએ છીએ પરંતુ ચાહકોએ આમાંથી કોઈ વાત પર વિશ્વાસ ન કરવો જોઈએ.”
તેમજ અમારી પડતાલને વધુ મજબૂત બનાવવા અમે મયુર વાકાણીનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમારી સાથે પણ કન્ફર્મ કર્યુ હતુ કે, “આ એક અફવા છે. મારા બહેન એકદમ તંદુરસ્ત છે અને ખુશ છે. આ પ્રકારના ખોટા સમાચારથી અમે ખૂબ જ દુખી છીએ. લોકોને વિંનતી છે આ પ્રકારની અફવાઓ ન ફેલાવે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ સમાચાર તદ્દન ખોટા છે. દિશા વાકાણી એકદમ તંદુરસ્ત છે. જેની પૃષ્ટી તેમના ભાઈ મયુર વાકાણી દ્વારા કરવામાં આવી છે. આ અફવા હોવાનું તેમના દ્વારા જણાવવામાં આવ્યુ છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:Fake News: શું ખરેખર દિશા વાકાણી(દયાબેન)ને ગળાનું કેન્સર થયુ છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
