
હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ સોનાના ઘરેણા પહેરી કોફિનમાં દેખાઈ રહ્યો છે. તેમજ આ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, કુવૈતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ નાસીર ખડકીનું અવસાન થયુ છે.
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
India Taja Khabar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 ઓક્ટોબર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કુવૈતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ નાસીર ખડકીનું કોરોનાના કારણે મોત થયુ છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ‘મેટ્રો’ વેબસાઇટ પર 4 એપ્રિલ 2018 ના પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે મુજબ, આ ફોટો ત્રિનિદાદ અને ટોબેગોમાં સ્થાવર મિલકતનો વેપારી હતો. તેનું નામ શેરોન સુખેદો (ઉમર 33) હતું. તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
તે પોતાની સંપત્તિ બતાવવા માટે પ્રખ્યાત હતો. તે મુજબ જ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેને મોંઘા શેમ્પેનમાં સ્નાન કરાવવામાં આવ્યું હતું અને સોનાના ડબ્બામાં દસ લાખ ડોલરના ઘરેણાં સાથે દફનાવવામાં આવ્યો હતો. ત્રિનિદાદ અને ટોબેગોના સ્થાનિક મિડિયાએ પણ તેમના મોતની માહિતી પ્રસારિત કરી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો કુવૈતના ધનાઢ્ય વ્યક્તિનો નહિં પરંતુ ત્રિનિદાદ અને ટોબેગોમાં સ્થાવર મિલકતના વેપારીનો હતો. જેનું નામ શેરોન સુખેદો છે.

Title:જે ફોટો વાયરલ થઈ રહ્યો છે તે કુવૈતના સૌથી ધનિક વ્યક્તિનો નથી… જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: False
