
તાજેતરમાં સોશિયલ મીડિયા પર 2000 ની નોટ બંધ થવા અંગેની માહિતી વાયરલ થઈ રહી છે. આ મહીતીમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, 2000 રુપિયાની નોટો હવે બંધ થઈ જશે.પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હાવાનું સાબિત થાય છે કારણ કે, સરકાર દ્વારા આ માહિતી ખોટી હોવાનું જણાવવામાં આવ્યું છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે?
Ridhpatel Virani નામના ફેસબુક યુઝર દ્વારા 14 ડિસેમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા અહેવાલના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, * બ્રેકિંગ ન્યુઝ:- હવે થી 2000 ની નોટ થઈ જશે બંધ*
*શા માટે થઈ રહી છે બંધ સમગ્ર મામલો જાણવા માટે નીચેઆપેલ લિંક પર ક્લિક કરો.* આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, 2000 રુપિયાની નોટો હવે બંધ થઈ જશે.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં કરવામાં આવેલા પહેલા દાવા મુજબ શું ખરેખર 2000 રુપિયાની નોટો બંધ થવાની છે કે કેમ? એ જાણવા માટે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને ક્યાંય પણ 2000 ની નોટો બંધ થવા અંગેની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ નહતી.
ત્યાર બાદ અમે RBI ની ઓફિશિયલ વેબસાઈટ તેમજ ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની માહિતી શોધવાની કોશિશ કરી હતી પરંતુ ત્યાં પણ અમને 2000 ની નોટ બંધ થવા અંગેની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
અમારી વધુ તપાસમાં અમને PIB Fact Check દ્વારા 16 ડિસેમ્બર, 2022 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવી માહિતી આપવામાં આવી છે કે, આગામી 1 ડિસેમ્બર, 2023 ના રોજથી 1000 રુપિયાની નવી નોટ ચલણમાં આવવાની છે અને 2000 રુપિયાની જૂની નોટો બેંકોમાં પરત કરવામાં આવશે અથવા બંધ કરવામાં આવશે પરંતુ આ માહિતી તદ્દન ખોટી હોવાનું સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે.
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે RBI ના અધિકારી સાથે આ અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “2000 રૂપિયાની નોટ બંધ થવાની માહિતી એક અફવા માત્ર છે. આ પહેલાં પણ આ પ્રકારની અફવા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. હજુ સુધી 2000 ની નોટ બંધ થવાની માહિતી અંગે RBI દ્વારા કોઈ પરિપત્ર બહાર પાડવામાં નથી આવ્યો કે કોઈ નિર્ણય પણ લેવામાં આવ્યો નથી.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા બંને દાવા ખોટા અને પાયાવિહોણા હોવાનું સાબિત થાય છે કારણ કે, સરકાર દ્વારા આ માહિતી ખોટી હોવાનું જણાવવામાં આવ્યું છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો 2000 ની નોટ બંધ થવા અંગેની માહિતીનું શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
