
For BJP Gujarat નામના એક ફેસબુક પેજ દ્વારા 18 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મનમોહનસિંહ લાચાર હતા તેથી તેઓ દેશની જનતાને હવે વિનંતી કરે છે કે કમળનું બટન દબાવો, ફરી એકવાર મોદી સરકાર લાવો… ઉપરોક્ત પોસ્ટની અંદર મનમોહનસિંહના ફોટો સાથે એવું લખેલું છે કે, હું લાચાર હતો, પણ તમે નથી. કમળનું બટન દબાવો, ભાજપાની સરકાર લાવો. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 1300 લોકોએ લાઈક કરી હતી, 41 લોકોએ આ પોસ્ટ પર પોતાના અભિપ્રાય આપ્યા હતા અને 265 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી.
Face book | Archive
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જો મનમોહનસિંહે ક્યાંય પણ આ રીતનું નિવેદન આપ્યું હોત તો એ બહુ મોટા સમાચાર બન્યા હોત અને ક્યાંક ને ક્યાંક મીડિયા દ્વારા એને પ્રસારિત કરવામાં આવ્યા જ હોત તેમજ સોશિયલ મીડિયા પર પણ ક્યાંક તો આ સમાચાર જોવા મળ્યા જ હોત. હવે નિવેદનની તપાસ માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લીધો અને હું લાચાર હતો પણ તમે નથી : મનમોહનસિંહ લખતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરના પરિણામોમાં અમને ક્યાંય પણ મનમોહનસિંહનું આ પ્રકારના નિવેદનની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. ત્યાર બાદ અમે ગુગલમાં હિન્દી ભાષામાં में लाचार था, लेकिन आप नहीं है : मनमोहनसिंह લખતાં અમને નીચેના પરિણામો મળ્યા હતા.

ઉપરના પરિણામોમાં પણ અમને પોસ્ટમાં કરાયેલા દાવા મુજબ કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. ત્યાર બાદ અમે યુ ટ્યુબનો સહારો લીધો હતો અને એમાં પણ અમે ઉપર મુજબ જ કી વર્ડ લખીને સર્ચ કરતાં અમને ગુજરાતી અને હિન્દી ભાષામાં નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.


ઉપરના પરિણામોમાં પણ અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ કોઈ જ માહિતી મળી ન હતી. ત્યાર બાદ અમે મનમોહનસિંહના ફેસબુક અને ટ્વિટર હેન્ડલ પરથી આ અંગે કોઈ માહિતી મૂકી હોય તો ચેક કરવાની કોશિશ કરી હતી. પરંતુ એના પરથી પણ અમને આ પ્રકારની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
આ ઉપરાંત અમે અમારી તપાસમાં કોંગ્રેસના ફેસબુક અને ટ્વિટરના ઓફિશિયલ એકાઉન્ટ પર પણ આ માહિતી શોધવાની કોશિશ કરી હતી પણ ત્યાં પણ અમને આ પ્રકારે કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. અંતમાં અમે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનો સંપર્ક કર્યો હતો અને આ અંગે પૂછતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહે આ પ્રકારે ક્યારેય કોઈ જ નિવેદન આપ્યું નથી. કોંગ્રેસના વિરોધીઓ દ્વારા આ પ્રકારે તેમના નામનો ખોટો ઉપયોગ કરીને કોંગ્રેસ પાર્ટીને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.”

પરિણામ
આમ, અમારી પડતાલ/તપાસ કાર્યવાહીમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે આ પ્રકારે ક્યારેય કોઈ જ નિવેદન આપ્યું નથી.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર મનમોહનસિંહે એવું કહ્યું કે,“હું લાચાર હતો, તમે લાચાર નથી…!” જાણો સત્ય
Fact Check By: Frany KariaResult: False
