
ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ ઓફિસિઅલ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જામનગરમાં ગૌવંશની 5 ટ્રકો ભરી જતા ભાજપાના નેતા ઝડપાયા.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 231 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 116 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જામનગરમાં ગૌવંશની 5 ટ્રકો ભરી જતા ભાજપાના નેતા ઝડપાયા.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, આ ઘટના વર્ષ 2018માં બનવા પામી હતી. જે સમાચારને દિવ્યભાસ્કર અને મેરાન્યુઝ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા.

મેરાન્યુઝના આ અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ ઘટના જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતિપર ગામમાં બનવા પામી હતી. જેમાં મુખ્યનામ ગણેશભાઈ મુંગરાનું આવ્યુ હતુ. જે ભાજપ સાથે જોડાયેલા છે.

તેમજ અમારી પડતાલને અમે મજબૂત કરવા જામનગર જિલ્લા પોલીસ વડા શ્વેતા શ્રીમાળી જોડે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ ઘટના હાલમાં જામનગરમાં બનવા પામી નથી. લોકો દ્વારા આ અંગે ખોટી માહિતી પહોચાડવામાં આવી રહી છે. લોકોએ આ પ્રકારની અફવાઓથી દૂર રહેવું જોઈએ.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલ ન્યુઝ પેપરનું કટિંગ હાલનું નહિં પરંતુ બે વર્ષ પહેલાનું છે. જેને ખોટા દાવા સાથે હાલનું ગણાવી ફેલાવવામાં આવી રહ્યુ છે.

Title:શું ખરેખર જામનગરમાં ગૌવંશની 5 ટ્રકો ભરી જતા ભાજપાના નેતા ઝડપાયા….? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: False
