
Paras Bhindora નામના ફેસબુક યુઝર દ્વારા 27 ઓગષ્ટ,2019 ના રોજ મારું ગુજરાત નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શાર્ષકમાં એવું લખેલું છે કે, ભાવનગર વિસ્તારમાં 25 સાધુબાબા કિડનેપ કરેછે 10થી18 વરસ ના છોક રા ને અને આવા 25 જેટલા બીજા સાધુ અલગ અલગ વિસ્તારોમાં પણ ફરેછે તો પ્લીઝ આ મેસેજ આગળ મોકલો. આ પોસ્ટમાં ફોટો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ તમામ ફોટો બાળક ચોર ટોળકીના છે. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 320 લોકોએ લાઈક કરી હતી. 6 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 223 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા એક ફોટોને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરના પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. પરંતુ પંજાબ કેશરી દ્વારા 14 ઓગષ્ટ, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવું લખવામાં આવ્યું હતું કે, હરિયાણાના હિસાર જિલ્લાના સહલપુરમાં રહેતા સુરેન્દ્ર કુમાર અને સુનીલ મંગળવારે હરિદ્વારથી તેમના પરિવારજનનું પિંડદાન કરી પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમણે બાળકોને ગાડીની ડેકીમાં બેસાડ્યા હતા અને ડેકીને લોક કર્યું ન હતું. જ્યાં પણ ગાડી ધીમી થતી હતી ત્યારે બાળકો ડેકી ખોલી દેતા હતા. કાર સવારના સમયે જ્યારે લાડવાના ઈન્દ્રી ચોક પહોંચી ત્યારે ત્યાં ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ હતી અને ત્યાં લોકોએ તેમની ગાડીને બાળક ચોરની ગાડી સમજીને ઘેરી લીધી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

અમારી વધુ તપાસમાં અમને દૈનિક જાગરણ ન્યૂઝપેપર અને તેની વેબસાઈટ પર પણ આ સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં તમે ઉપરોક્ત પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને જોઈ શકો છો.


Archive
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે ભાવનગરના એસ.પી. જયપાલસિંહ રાઠોડનો સંપર્ક કરીને આ ઘટના અંગે પૂછતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “ભાવનગરમાં આ પ્રકારે કોઈ પણ સાધુ બાબાઓની ટોળકી આવી નથી. આ એક ખોટી માહિતી છે. લોકોએ આવી ખોટી માહિતીથી સાવચેત રહેવું જોઈએ.”

ઉપરોક્ત તમામ સંશોધનમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા 5 માંથી 3 ફોટા અમને જુદા જુદા સમાચારોમાં પ્રાપ્ત થયા હતા. જે તમે ઉપરના સંશોધનમાં જોઈ શકો છો. જ્યારે અન્ય 2 ફોટા અમને ઈન્ટરનેટ પર કે અન્ય કોઈ જગ્યાએ પ્રાપ્ત થયા ન હતા કે તે સાધુ બાળક ચોર છે એવી માહિતી પણ અમને ક્યાંય મળી ન હતી. તેથી પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો સાબિત થાય છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટા ગુજરાતના નથી. તેમજ તે ફોટા કોઈ બાળક ચોર ટોળકીના નથી અને આવી કોઈ ટોળકી ભાવનગરમાં આવી નથી એવું એસ.પી. દ્વારા જણાવવામાં આવ્યું હતું.
છબીઓ સૌજન્ય : ગુગલ

Title:શું ખરેખર ભાવનગરમાં બાળક ચોરી કરતી સાધુ બાબાઓની ટોળકી આવી છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
