
તાજેતરમાં સોશિયલ મીડિયા પર News 18 Gujarati નામની એક ગુજરાતી સમાચાર ચેનલનો એક સ્કેરીનશોટ વાયરલ થઈ રહ્યો છે જેની સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ગાંધીનગર મનપાની ચૂંટણીના રોડ શોમાં એવું કહ્યું કે, “ભાજપને કોઈની જરુર નથી”. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે News 18 Gujarati ના પત્રકારને એવું જણાવ્યું હતું કે, “ગાંધીનગર મનપાની ચૂંટણીમાં આ વખતે પણ ભાજપનો વિજય થશે. ભાજપે કોઈ પણ પક્ષ સાથે જોડતોડ કરવી નહીં પડે. ભાજપને કોઈ પણ અન્ય રાજકીય પક્ષના ટેકાની જરુર નહીં પડે.” તેમના આ નિવેદનને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
કારાભાઈચાવડા કારાભાઈચાવડા નામના ફેસબુક યુઝર દ્વારા 01 ઓક્ટોમ્બર, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, લ્યો બોલો ભાજપને કોઈની જરૂર નથી તો નાગરીકો પાસે મત માંગવા શું કામે જાય છે ????. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ગાંધીનગર મનપાની ચૂંટણીના રોડ શોમાં એવું કહ્યું કે, “ભાજપને કોઈની જરુર નથી”.
ઉપરના જ ફોટો સાથે અન્ય કેટલાક ફેસબુક યુઝર દ્વારા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આ.પાટીલના આ નિવેદન પર પ્રહાર કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, આ સ્ક્રીનશોટ News 18 Gujarati નામની એક ગુજરાતી સમાચાર ચેનલનો છે. વધુમાં અમને એ પણ જાણવા મળ્યું હતું કે, તાજેતરમાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા ગાંધીનગરમાં રોડ શો કરવામાં આવ્યો હતો. તે સમયનો આ ફોટો છે.
ત્યાર બાદ અમે આ ફોટોને જુદ-જુદા કીવર્ડથી યુટ્યુબ પર શોધવાનો પ્રયત્ન કરતાં આજ ફોટો સાથેનો વીડિયો અમને News 18 Gujarati દ્વારા 1 ઓક્ટોમ્બર, 2021 ના રોજ સમાચારમાં પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ વીડિયોને ધ્યાનથી જોતાં અમને ક્યાંય પણ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા જનતા માટે આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું હોય એવું ક્યાંય પણ સાબિત થતું નહતું.
અમારી વધુ તપાસમાં અમે સીધો જ સંપર્ક સી.આર.પાટીલનું ઈન્ટર્વ્યુ લઈ રહેલા News 18 Gujarati ના રિપોર્ટર મયુર માંકડિયાનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “સોશિયલ મીડિયા પર અમારી ચેનલના સ્ક્રીનશોટનો ખોટી રીતે દૂરુપયોગ કરવામાં આવી રહ્યો છે. મારા એક પ્રશ્નના જવાબમાં સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, આ વખતે પણ ગાંધીનગરની મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજય થશે. ભાજપને કોઈ જ અન્ય રાજકીય પક્ષની જરુર નથી કે આ વખતે પણ ભાજપ પૂર્ણ બહુમતીથી જીતશે, ભાજપને અન્ય કોઈની જરુર નહીં પડે એનો મતલબ એજ કે ભાજપને અન્ય કોઈ રાજકીય પક્ષ સાથે જોડતોડ નહીં કરવી પડે.”
ઉપરોક્ત વીડિયોમાં તમે 8.10 મિનિટ પછી પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની સરકાર બનાવવા માટે જનતાને નહીં પરંતુ અન્ય રાજકીય પક્ષોની જરુર નહીં પડે એવું સ્પષ્ટ કહી રહ્યા છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે News 18 Gujarati ના પત્રકારને એવું જણાવ્યું હતું કે, “ગાંધીનગર મનપાની ચૂંટણીમાં આ વખતે પણ ભાજપનો વિજય થશે. ભાજપે કોઈ પણ પક્ષ સાથે જોડતોડ કરવી નહીં પડે. ભાજપને કોઈ પણ અન્ય રાજકીય પક્ષના ટેકાની જરુર નહીં પડે.”

Title:શું ખરેખર ગાંધીનગર મનપાની ચૂંટણીના રોડ શોમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે એવું કહ્યું કે, “ભાજપને કોઈની જરુર નથી”…?
Fact Check By: Vikas VyasResult: False
