
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીની એક માહિતી વાયરલ થઈ રહી છે. આ માહિતી સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે, આગામી સમયમાં સાપ કરડવાના બનાવોમાં વધારો થશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેઓએ આગાહીમાં એવું કહ્યું છે કે, આગામી સમયમાં સર્પ અને જળચર પ્રાણીઓનો ઉપદ્રવ વધશે જેના કારણે લોકોએ સર્પદંશથી સંભાળીને રહેવું પડશે. આ માહિતી સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Moni Bhatt નામના ફેસબુક યુઝર દ્વારા 28 માર્ચ, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ફોટો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, કાકા કંઈક નવું લાવ્યાં…. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે, આગામી સમયમાં સાપ કરડવાના બનાવોમાં વધારો થશે.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલી આજ માહિતી સાથેના સમાચાર ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા તેના સત્તાવાર ફેસબુક પેજ પર 28 માર્ચ, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેના લખાણમાં પણ એવી માહિતી આપવામાં આવી હતી કે, 17 મી જૂન બાદ સાપ કરડવાના બનાવો વધી શકે છે. પરંતુ જ્યારે અમે આ સમાચારને ધ્યાનથી સાંભળ્યા ત્યારે અમને એ માલૂમ પડ્યું કે, અંબાલાલ પટેલ એવું કહી રહ્યા છે કે, 17 મી જૂન પછી જે વરસાદ આવશે તેને કારણે સાપ જેવા જળચર પ્રાણીનો ઉપદ્રવ વધશે. જેને કારણે લોકોએ સર્પદંશના કિસ્સાથી ધ્યાન રાખવું પડશે. તેઓ ક્યાંય પણ એવું નથી બોલ્યા કે, સર્પદંશના બનાવોમાં વધારો થશે.
અમારી તપાસને વધુ મજબૂત બનાવવામાટે અમે સીધો જ સંપર્ક હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનો કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર જે માહિતી વાયરલ થઈ રહી છે એ તદ્દન ખોટી છે. મેં મારા નિવેદનમાં ક્યાંય પણ એવું નથી કહ્યું કે, સર્પદંશના બનાવોમાં વધારો થશે પરંતુ મેં એવું કહ્યું છે કે, “17 મી જૂન પછી જે વરસાદ આવશે તેને કારણે સાપ જેવા જળચર પ્રાણીનો ઉપદ્રવ વધશે. જેને કારણે લોકોએ સર્પદંશના કિસ્સાથી ધ્યાન રાખવું પડશે.”
વધુમાં તેઓએ એ પણ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર મારા નિવેદનને મારી મચેડીને ખોટી રીતે વાયરલ કરવામાં આવી રહ્યું છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેઓએ આગાહીમાં એવું કહ્યું છે કે, આગામી સમયમાં સર્પ અને જળચર પ્રાણીઓનો ઉપદ્રવ વધશે જેના કારણે લોકોએ સર્પદંશથી સંભાળીને રહેવું પડશે. આ માહિતી સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:અંબાલાલ પટેલે આગાહી કરી કે, સાપ કરડવાના બનાવોમાં વધારો થશે. જાણો શું છે આ માહિતીનું સત્ય…
Fact Check By: Vikas VyasResult: Misleading
