
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયોમાં એક વ્યક્તિ દુર્ગા પંડાલમાં ઘૂસીને ભજન બંધ કરવાનું કહે છે. વધુમાં તે એવું પણ કહે છે કે, કોલોની મે રહના હૈ તો અસલમભાઈ કહના પડેગા, યહા મોદી નહીં આએગા… પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો મનોરંજન માટે ટિકટોક પર મૂકવા માટે બનાવવામાં આવ્યો હતો. જે એક પૂર્વ નિર્ધારિત અભિનય હતો. વીડિયોમાં દેખાતા તમામ મિત્રો જ છે. તેઓએ દુર્ગા પંડાલમાં ઘૂસીને ભજન બંધ કરાવ્યા હોવાની માહિતી તદ્દન ખોટી છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Naresh Gandhi નામના ફેસબુક યુઝર દ્વારા 18 ઓક્ટોમ્બર, 2020 ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, દુર્ગા પંડાલમેં ઘુસકર ભજન બંધ કરવા દીયા ફીર આગે સુને હિન્દુ. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વીડિયોમાં એક વ્યક્તિ દુર્ગા પંડાલમાં ઘૂસીને ભજન બંધ કરવાનું કહે છે. વધુમાં તે એવું પણ કહે છે કે, કોલોની મે રહના હૈ તો અસલમભાઈ કહના પડેગા, યહા મોદી નહીં આએગા.
Facebook Post | Archive | Video Archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી સાંભળતાં વીડિયોમાં વાદળી શર્ટ પહેરેલો વ્યક્તિ એવું બોલી રહ્યો છે કે, “માલવાની મે રહના હૈ તો અસલમભાઈ કહના હૈ, યહા મોદી નહીં આએગા…”
ત્યાર બાદ અમે માલવાની સાથે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને વસીમ હૈદર સહારા સમય નામના એક યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જેના શીર્ષકમાં એં લખેલું હતું કે, “માલવાની મે રહના હૈ તો અસલમભાઈ કહના હૈ, ઈસ વાયરલ વીડિયો પર MLA અસલમ શેખ કા ક્યા કહના હૈ.”
આ વીડિયોમાં જોવા મળતો વ્યક્તિ મુંબઈ એનસીપીનો નેતા અસલમ શેખ છે. વાયરલ થતા વીડિયોમાં તેના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં તે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેના સંદર્ભમાં પોતાનો ખુલાસો આપી રહ્યો છે. તેમના કહેવા મુજબ, વીડિયોમાં બતાવેલી ઘટના તેની સામે રચવામાં આવેલું એક ષડયંત્ર છે. તેઓ એમ પણ કહી રહ્યા છે કે, તેઓ કોઈ પણ જાતિવાદને ટેકો આપતા નથી. તેઓએ પોલીસને વીડિયોમાં દેખાતા વ્યક્તિ તેમજ આ વીડિયો વાયરલ કરી રહેલા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે.
વધુ તપાસમાં અમને કેટલાક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેના પરથી અમને એ ખબર પડી હતી કે, જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં વાદળી શર્ટ અને ટોપી પહેરેલ વ્યક્તિનું નામ આશિષસિંહ છે અને વીડિયોમાં તે રવિશંકર દુબે નામની વ્યક્તિ સાથે વાતચીત કરી રહ્યો છે.
ઉપરોક્ત ફોટોમાં તમે આશિષસિંહ અને રવિશંકર દુબેને જોઈ શકો છો.
અમે ફેસબુક પર આશિષસિંહના એકાઉન્ટની શોધ કરતાં અમને તેમના એકાઉન્ટ પરથી એ જાણકારી મળી હતી કે, તેઓ યુવા એકતા સામાજીક સંસ્થાના ઉપાધ્યક્ષ છે તેમજ એખ જીમના માલિક પણ છે. આ જાણકારી પરથી અમે યુવા એકતા સામાજીક સંસ્થાનો સંપર્ક કર્યો તો ત્યાં અમારી વાત સંસ્થાના સલાહકાર નદિમ શેખ સાથે થઈ.
તેઓએ અમને જણાવ્યું કે, ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં આશિષસિંહની સાથે સફેદ કપડામાં ચાલી રહેલો વ્યક્તિ તેઓ પોતે જ છે. વધુમાં એ પણ કહ્યું કે, તેઓએ મજાક માટે જ આ વીડિયો બનાવ્યો હતો.
ઉપરોક્ત ફોટોમાં તમે નદિમ શેખને જોઈ શકો છો.
તેઓએ અમને જણાવ્યું કે, “જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં વાદળી કપડાં અને ટોપી પહેરેલી વ્યક્તિ અને જેની સાથે તેઓ વીડિયોમાં વાત કરી રહ્યાં છે એ બધા અમે ખૂબ સારા મિત્રો છીએ. અમે ત્રણેય એક બિન-સરકારી સંસ્થા યુવા એકતા સામાજિક સંસ્થામાં કામ કરીએ છીએ. અમે આ વીડિયોને ટિક-ટોકની મજાક તરીકે બનાવ્યો હતો અને તેને ઇન્ટરનેટ પર પ્રસારિત કર્યો હતો. તે પોસ્ટના શીર્ષકમાં અમે લખ્યું હતું કે, અસલમ શેખ વિશે તમે શું વિચારો છો. આ શીર્ષકને લોકોએ દૂર કરીને તેના બદલે બીજું શીર્ષક લખીને વાયરલ કરવામાં આવ્યું હતું. આ વીડિયો ઓક્ટોમ્બર 2019 માં પ્રસારિત કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ એ ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે. વીડિયો એટલો વાયરલ થઈ ગયો હતો કે, આ ઘટનામાં પગલા લેવા પીએમઓનો એક પત્ર માલવાની પોલીસને આવ્યો હતો.”
આ પછી વીડિયોની સ્પષ્ટતા કરવા માટે અમે ફેસબુક પર અન્ય વીડિયો પ્રસારિત કર્યા હતા. જેમાં અમે સ્પષ્ટતા કરી હતી કે, “આ વીડિયો મજાક માટે જ બનાવવામાં આવ્યો છે. અમે બધા મિત્રો છીએ. આ વીડિયોને ખોટા દાવા સાથે સોશિયલ પ્લેટફોર્મ પર વાયરલ કરનારા લોકો સામે અમે માલવાની પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ નોંધાવી છે.”
નદિમ શેખે તેમના ખુલાસાનો વીડિયો અને ફરિયાદની નકલ પણ અમને મોકલી છે.
વાયરલ થતાં વીડિયોને લઈને નદિમ શેખે અમને કેટલાક વીડિયો અને ફોટા પણ મોકલ્યા છે. વીડિયોમાં તે વાયરલ વીડિયોમાં બતાવેલી ઘટનાનો ખુલાસો આપી રહ્યા છે.
- નીચેના વીડિયોમાં તમે આશિષસિંહ અને રવિશંકર દુબેને જોઈ શકો છો.
- નીચેના વીડિયોમાં તમે નદિમ શેખ અને રવિશંકર દુબેને જોઈ શકો છો.
નીચે તમે તેમના દ્વારા કરવામાં આવેલી ફરિયાદની કોપી જોઈ શકો છો.
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે માલવાની પોસીસ સ્ટોશનના સિનિયર પીઆઈ જગદેવ કાલપડનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “વાયરલ થઈ રહેલો વીડિયો એખ વર્ષ જૂનો છે. આ વીડિયો સાથે જે દાવો કરવામાં આવી રહ્ય છે એ તદ્દન ખોટો છે. વીડિયોમાં દેખાતા વ્યક્તિઓએ આ વીડિયોને મજાક માટે બનાવ્યો હતો. આ લોકો જાતે જ પોલીસ સ્ટેશને આવ્યા હતા અને અમને પૂરી ઘટના જણાવી હતી. અમે એ લકો વિરુદ્ધમાં ફરિયાદ પણ નોંધી હતી. હું તમને હાલ એટલું કહી શકું કે, વાયરલ વીડિયોમાં દેખાતા બધા જ વ્યક્તિઓ સારા મિત્રો છે. આ વીડિયો સાથે કરવામાં આવી રહેલો દાવો તદ્દન ખોટો છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને અસલમ શેખ સાથે કોઈ જ સંબંધ નથી તેમજ આ વીડિયો મજાક માટે બનાવવામાં આવ્યો હતો. વીડિયોમાં દેખાતા તમામ વ્યક્તિઓ સારા મિત્રો છે અને તેમના દ્વારા દુર્ગા પંડાલમાં ભજન બંધ કરાવવામાં આવ્યા હોવાની માહિતી તદ્દન ખોટી છે.

Title:મનોરંજન માટે બનાવવામાં આવેલા વીડિયોને સંપ્રદાયિકતા સાથે જોડીને વાયરલ કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
