સાંસદ અરૂણ ગોવિલે પીએમ મોદીની ટીકા કરી ન હતી. ગોવિલનો અધૂરો વીડિયો ભ્રામક દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે.

મેરઠના ભાજપ સાંસદ અરૂણ ગોવિલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે,“તેમણે સંસદમાં હાજર ન રહેવા અને વિદેશ જવા બદલ પીએમ મોદીની ટીકા કરી છે.” વાયરલ વીડિયો 16 સેકન્ડ લાંબો છે, જેમાં પહેલા દ્રશ્યમાં પીએમ મોદી વિમાનમાં ચઢતા જોવા મળે છે અને નીચેના દ્રશ્યમાં મેરઠના ભાજપ સાંસદ અરુણ ગોવિલ સમાચાર એજન્સી ANI ને નિવેદન આપી રહ્યા છે કે “મને સમજાતું નથી કે, તેઓ તેમને ચૂંટનારા લોકોને શું જવાબ આપશે? શું તેમના લોકોએ તેમને ચૂંટ્યા અને આ કરવા માટે અહીં મોકલ્યા.? આ કેટલું શરમજનક છે. તેમને સંસદ ચલાવવામાં થતા ખર્ચની પણ ખબર નથી. તેમને દેશ સાથે સંબંધિત કોઈ પણ બાબતની ચિંતા નથી”.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 25 જૂલાઈ 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “તેમણે સંસદમાં હાજર ન રહેવા અને વિદેશ જવા બદલ પીએમ મોદીની ટીકા કરી છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
તપાસની શરૂઆતમાં, અમે વાયરલ વીડિયોના ચિત્રોની રિવર્સ ઇમેજ સર્ચ કરી. પરિણામે, અમને ANI ના સત્તાવાર X એકાઉન્ટ પર વાયરલ વીડિયોનું લાબું વર્ઝન મળ્યું. આ વીડિયો 23 જુલાઈ 2025ના રોજ શેર કરવામાં આવ્યો હતો.
ઉપલબ્ધ માહિતી અનુસાર, અરૂણ ગોવિલ પીએમ મોદી વિશે નહીં, પરંતુ વિપક્ષી પક્ષો વિશે વાત કરી રહ્યા હતા. કેપ્શન મુજબ, ભાજપના સાંસદ અરૂણ ગોવિલ કહે છે, “આ વિપક્ષનું ખૂબ જ ખરાબ વલણ છે. તેમને સંસદ ચલાવવામાં કેટલો ખર્ચ થાય છે તેની પરવા નથી. સરકારે પહેલેથી જ કહ્યું છે કે તે દરેક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે, પરંતુ વિપક્ષ ચર્ચા કરવા માંગતો નથી, તે ફક્ત અવાજ કરવા માંગે છે જે ખૂબ જ શરમજનક છે.”
અરૂણ ગોવિલનો વીડિયો CNBC Awaaz પર પણ જોઈ શકાય છે. 23 જુલાઈના રોજ, વિપક્ષે સંસદ પરિસરમાં બિહારમાં મતદાર યાદીના ખાસ સઘન સુધારા પર ચર્ચાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું, જેના કારણે ગૃહની કાર્યવાહી ખોરવાઈ ગઈ. આ ઘટનાને ધ્યાનમાં રાખીને, ભાજપના સાંસદ અરૂણ ગોવિલે સંસદની બહાર ANI રિપોર્ટરના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું, “આ વિપક્ષનું ખૂબ જ ખરાબ વલણ છે, મને સમજાતું નથી કે તેઓ જે લોકોને ચૂંટ્યા છે તેમને શું જવાબ આપશે, શું તેમના લોકોએ તેમને આવું કરવા માટે ચૂંટ્યા છે, તે શરમજનક વાત છે, તેમને સંસદ ચલાવવામાં કેટલા પૈસા ખર્ચવામાં આવે છે તેની પણ પરવા નથી, તેમને દેશમાં કોઈ પણ વસ્તુની પરવા નથી, તેઓ ફક્ત પોતાના વિશે અવાજ ઉઠાવવા માંગે છે…”
અમે વાયરલ વીડિયો અને અમને મળેલા વીડિયોનું વિશ્લેષણ કર્યું. તેમાંથી સ્પષ્ટ થાય છે કે અરુણ ગોવિલે બિહારમાં મતદાર ઓળખ કાર્ડના ખાસ સઘન સુધારણા પર વિપક્ષના હોબાળા અંગે આ નિવેદન આપ્યું હતું, જેને હવે ખોટા સંદર્ભમાં સંપાદિત કરીને વાયરલ કરવામાં આવી રહ્યું છે.
સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી શરૂ થયું હતું અને 21 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે-
નોંધનીય છે કે સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી શરૂ થયું હતું અને 21 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. ચોમાસુ સત્ર શરૂ થયું ત્યારે પીએમ મોદીએ મીડિયાને પણ સંબોધન કર્યું હતું. આ પછી, 23 જુલાઈના રોજ, પીએમ મોદી યુનાઇટેડ કિંગડમ અને માલદીવ જવા રવાના થયા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, સાંસદ અરૂણ ગોવિલે પીએમ મોદીની ટીકા કરી ન હતી. ગોવિલનો અધૂરો વીડિયો ભ્રામક દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:અરૂણ ગોવિલે પીએમ મોદીની ટીકા કરી ન હતી, અધૂરો વીડિયો ભ્રામક દાવા સાથે વાયરલ…
Fact Check By: Frany KariaResult: Misleading
