
તાજેતરમાં સોશિયલ મીડિયા પર આશીર્વાદ આટાના પેકેટ પર હલાલનો લોગો દર્શાવતો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હવે ભારતમાં પણ હલાલ સર્ટિફિકેટના લોગો સાથેના આશીર્વાદ આટાના પેકેટ વેચાઈ રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં હલાલ સર્ટિફિકેટના લોગો સાથેના આશીર્વાદ આટાના પેકેટનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ જૂનો ફોટો છે અને આ પેકેટ ફક્ત ભારતમાંથી બહાર નિકાસ માટે બનાવવામાં આવ્યું હતું. આ પેકેટનું વેચાણ ભારતમાં થતું નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 23 જુલાઈ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ઘઉંનો લોટ હલાલ? આને પણ હલાલ? આ સિક્કો જો ના હોય તો મુસ્લિમ લોકો આ લોટ ના ખરીદે ,આ તમારો આર્થિક બહિષ્કાર નહીં તો બીજું શું?હજુ હલાલ આઇફોન અને હલાલ સ્માર્ટ ફોન જોવાના બાકી છે,પણ આવશે. ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હવે ભારતમાં પણ હલાલ સર્ટિફિકેટના લોગો સાથેના આશીર્વાદ આટાના પેકેટ વેચાઈ રહ્યા છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને 1 ડિસેમ્બર, 2023 ના રોજ ITC લિમિટેડ દ્વારા તેના સત્તાવાર ટ્વિટર પરથી કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં ITCએ જણાવ્યું હતું કે, હલાલ લોગો સાથેનો આશીર્વાદ આટાનું આ પેકેટ જૂનું છે ફક્ત નિકાસ માટે બનાવવામાં આવ્યું હતું. તેનો હેતુ ભારતીય બજારમાં વેચાણનો ન હતો.
વધુ તપાસમાં અમને 25 એપ્રિલ, 2020 ના રોજ ITC Cares તરફથી બીજી એક ટ્વિટ મળી, જે વાયરલ દાવાની સ્પષ્ટતા કરે છે. તેમાં લખવામાં આવ્યું હતું કે, “ભારતમાં હલાલ લોગો સાથે આશીર્વાદ આટાનું પેકેટ વેચાય છે એ આરોપ ભ્રામક અને ખોટો છે. આ પેકેટ એ એક નિકાસ પેક છે જે એવા દેશમાં વેચવામાં આવે છે જ્યાં કાયદામાં પેક પર હલાલ લોગો હોવો ફરજીયાત છે. મહેરબાની કરીને આવી અફવાઓનો શિકાર ન થાઓ.”
ITC એ મે 2002 માં આશીર્વાદ આટા લોન્ચ કરીને બ્રાન્ડેડ લોટના બજારમાં પ્રવેશ કર્યો હતો.
અમે “આશીર્વાદ આટા વિથ મલ્ટિગ્રેન”નું પેકેટ ચેક કર્યું, પણ તેના પર હલાલનો લોગો નહોતો.
હલાલ સર્ટિફિકેટ શું છે?
હલાલ પ્રમાણપત્ર જણાવે છે કે, ખોરાક અથવા ઉત્પાદન ઇસ્લામના અનુયાયીઓ માટે માન્ય છે અને તેના ઉત્પાદન અથવા પ્રક્રિયામાં કોઈપણ હરામ સામગ્રી અથવા પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. ઉત્પાદન પર હલાલ લોગોની હાજરી ગ્રાહકને ખાતરી આપે છે કે, ઉત્પાદન હલાલના ધારા-ધોરણોનું પાલન કરે છે અને મુસ્લિમો દ્વારા તેનો ઉપયોગ કરી શકાય છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં હલાલ સર્ટિફિકેટના લોગો સાથેના આશીર્વાદ આટાના પેકેટનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ જૂનો ફોટો છે અને આ પેકેટ ફક્ત ભારતમાંથી બહાર નિકાસ માટે બનાવવામાં આવ્યું હતું. આ પેકેટનું વેચાણ ભારતમાં થતું નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો હલાલના લોગોવાળા આશીર્વાદ આટાના પેકેટના ફોટોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: Misleading
