વાયરલ વીડિયોમાં યોગી આદિત્યનાથ ઉમેશ પાલ હત્યાકાંડમાં મૃત્યુ પામેલા પોલીસ કોન્સ્ટેબલના અંતિમ સંસ્કાર વખતે કપાળ પર રાખ લગાવી રહ્યા ન હતા. આ વીડિયો ગયા વર્ષની હોળીનો છે. ખોટા દાવા સાથે એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

ઉત્તર પ્રદેશના બસપાના ધારાસભ્ય રાજુ પાલ હત્યા કેસના મુખ્ય સાક્ષી ઉમેશ પાલની 24 ફેબ્રુઆરીએ દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જે કેસમાં પૂર્વ સાંસદ અતીક અહેમદના સાથીઓએ કરેલા આ હુમલામાં ઉમેશ પાલના સુરક્ષા ગાર્ડ પોલીસ કોન્સ્ટેબલ સંદીપ નિષાદનું પણ મોત થયુ હતું.
આ પૃષ્ઠભૂમિમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોલીસ કોન્સ્ટેબલ સંદીપ નિષાદના અંતિમ સંસ્કારમાં હાજરી આપી અને તેમના કપાળ પર ચિતાની રાખ લગાવી.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
mahadev_thakor_101 નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 04 માર્ચ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોલીસ કોન્સ્ટેબલ સંદીપ નિષાદના અંતિમ સંસ્કારમાં હાજરી આપી અને તેમના કપાળ પર ચિતાની રાખ લગાવી.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ વીડિયોમાં કીફ્રેમ્સના માધ્યથી ગૂગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતાં અમને જાણવા મળ્યું કે, વીડિયો એક વર્ષ પહેલાનો છે.
સાંસદ પ્રાચી સાધ્વીએ 22 માર્ચ 2022ના યોગી આદિત્યનાથનો આ વીડિયો ટ્વિટ કર્યો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, યોગી આદિત્યનાથ પોતાના કપાળ પર હોળીની રાખ લગાવી રહ્યા હતા.
ટીવી-9 અનુસાર, 17 માર્ચ, 2022ના રોજ યોગી આદિત્યનાથે ગોરખપુરમાં હોલિકા ઉજવી હતી. તેમણે આ વખતે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.
ફેક્ટ ક્રેસેન્ડોએ ગોરખપુરના સ્થાનિક પત્રકાર માર્કંડેય મણિ ત્રિપાઠીનો સંપર્ક કર્યો. તેમણે કહ્યું કે વાયરલ વીડિયો ગોરખપુરના ગોરખનાથ મંદિરનો છે. યોગી આદિત્યનાથે હોલિકા દહનના બીજા દિવસે કપાળ પર ભસ્મ લગાવીને દર્શન કર્યા હતા.
ગોરખપુરના કલેક્ટર વિનીત કુમાર સિંહે પણ આ વીડિયોને લઈ ફેક્ટ ક્રેસેન્ડોની પુષ્ટિ કરી હતી. તેમણે સ્પષ્ટતા કરી કે વાયરલ થયેલો વીડિયો પોલીસ કોન્સ્ટેબલ સંદીપ નિષાદના અંતિમ સંસ્કારનો નથી.
સંદીપ નિષાદના પરિવારને આર્થિક સહાય
મૃતક પોલીસ કોન્સ્ટેબલ સંદીપ નિષાદના પરિવારને ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા 50 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવી હતી. પોલીસ અધિક્ષક અનુરાગ ગર્ગે બિસાઈપુર ખાતે સંદીપના પિતા સંતલાલને રાહત દસ્તાવેજો સોંપ્યા હતા.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ વીડિયોમાં યોગી આદિત્યનાથ ઉમેશ પાલ હત્યાકાંડમાં મૃત્યુ પામેલા પોલીસ કોન્સ્ટેબલના અંતિમ સંસ્કાર વખતે કપાળ પર રાખ લગાવી રહ્યા ન હતા. આ વીડિયો ગયા વર્ષની હોળીનો છે. ખોટા દાવા સાથે એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:યોગી આદિત્યનાથે પોલીસ કોન્સ્ટેબલના અંતિમ સંસ્કારની રાખ કપાળ પર નથી લગાવી…જાણો શું છે સત્ય…
Fact Check By: Frany KariaResult: False
