
સોમવારે બપોર બાદ અમદાવાદ મહાનગર પાલિકાની ટીમ દ્વારા ભીડ-ભાડના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. જે બાદ સોશિયલ મિડિયામાં એખ મેસેજ વાયરલ થઈ રહ્યો છે અને આ મેસેજ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમદાવાદમાં સાંજે 7.30 વાગ્યા બાદ તમામ હોટલ અને રેસ્ટોરન્ટ બંધ કરવા મનપા દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, અમદાવાદમાં સાંજે 7.30 વાગ્યે તમામ હોટલ-રેસ્ટોરાં બંધ કરી દેવા એએમસી દ્વારા કોઈ આદેશ કરવામાં આવ્યો નથી. 7.30 વાગ્યે રેસ્ટોરાં બંધ કરી દેવાની વાત તદ્દન ખોટી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Dakshin Gujarat Vartman નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 08 માર્ચ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અમદાવાદમાં સાંજે 7.30 વાગ્યા બાદ તમામ હોટલ અને રેસ્ટોરન્ટ બંધ કરવા મનપા દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર આ અંગે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને ઝી24 કલાલ દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવેલુ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ.
જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “અમદાવાદમાં રેસ્ટોરેન્ટ બંધ કરવાની વાત અફવા.. AMC દ્વારા કોઈ આદેશ આપવામાં નથી આવ્યો.”
તેમજ અમને ઝી24 કલાકનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં પણ એએમસીના અધિકારીનું નિવેદન પ્રકાશિત કરવામાં આવ્યુ હતુ, જેમાં તેઓ જણાવી રહ્યા છે કે, “સાંજે 7.30 વાગ્યે બજારો બંધ કરી દેવી આ પ્રકારે કોઈ આદેશ આપવામાં નથી આવ્યા.”
તેમજ અમને દિવ્યભાસ્કરનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં એએમસીના હેલ્થ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડો. ઓમ પ્રકાશનું નિવેદન પ્રકાશિત કરવામાં આવ્યુ હતુ. જેમાં તેઓએ જણાવ્યુ હતુ કે, “કોરોનાના કેસો વધી રહ્યા છે. હોટલો- રેસ્ટોરાંમાં સોશિયલ ડિસ્ટન્સ સહિત કોરોનાની ગાઈડલાઈનનું પાલન નથી થઈ રહ્યુ. જેથી આજે તમામ ખાણી-પીણી બજારોમાં સરપ્રાઈઝ ચેકિંગ કરી અને જ્યાં પાલન ન થાય ત્યાં બંધ કરાવવા આદેશ કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પણ જ્યાં જ્યાં રેસ્ટોરાં અને ખાણી-પીણી જગ્યા પર સોશિયલ ડિસ્ટન્સ માર્કિંગ મુજબ નહીં જોવા મળે ત્યાં કાર્યવાહી કરવામાં આવશે.”
તેમજ અમે એએમસીના મ્યુનિસિપલ કમિશ્નર મુકેશ કુમારનો સંપર્ક સાધ્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે, “7.30 વાગ્યે રેસ્ટોરાં બંધ કરી દેવા આદેશ કરવામાં આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે. હા પણ કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા આદેશ કરાયો છે. તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવો પણ જરૂરી છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, અમદાવાદમાં સાંજે 7.30 વાગ્યે તમામ હોટલ-રેસ્ટોરાં બંધ કરી દેવા એએમસી દ્વારા કોઈ આદેશ કરવામાં આવ્યો નથી. 7.30 વાગ્યે રેસ્ટોરાં બંધ કરી દેવાની વાત તદ્દન ખોટી છે.

Title:શું ખરેખર અમદાવાદમાં સાંજે 7.30 વાગ્યા બાદ તમામ રેસ્ટોરન્ટ બંધ કરવા આદેશ કરાયો….?
Fact Check By: Yogesh KariaResult: False
