આ વીડિયો કોલકાતાના સંતોષ મિત્ર સ્ક્વેરના દુર્ગા પૂજા પંડાલનો છે, અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનનું દ્રશ્ય નથી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામલલાને સંપૂર્ણ વિધિ-વિધાન સાથે પવિત્ર કરશે. સોશિયલ મીડિયા પર એક મંદિર પાસે મોટી ભીડ એકઠી થઈ હોવાનો વીડિયો શેર થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો અયોધ્યામાં તૈયાર થયેલા રામ મંદિરનો છે.”

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 19 ડિસેમ્બર 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો અયોધ્યામાં તૈયાર થયેલા રામ મંદિરનો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે વાયરલ વીડિયોના કેટલાક કીફ્રેમ લીધા અને મળેલા ફોટોની રિવર્સ ઇમેજ સર્ચ કર્યા પછી, અમને યુટ્યુબ ચેનલ પર વાયરલ વીડિયો મળ્યો હતો. 21 ઓક્ટોબર 2023ના રોજ અપલોડ કરાયેલ આ પોસ્ટમાં માહિતી આપવામાં આવી છે કે અયોધ્યાના આ રામ મંદિરની ડિઝાઇન કોલકાતામાં બનાવવામાં આવી છે.

વધુ તપાસમાં અમને ઝી ન્યૂઝનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં વાયરલ વીડિયો અંગે માહિતી આપવામાં આવી છે. 18 ઓક્ટોબર 2023ના રોજ પ્રકાશિત થયેલા સમાચાર મુજબ આ વીડિયો કલકત્તામાં આયોજિત દુર્ગા પૂજા પંડાલનો છે.

આ વર્ષે કલકત્તામાં રામ મંદિરના આધારે દુર્ગા પંડાલ બનાવવામાં આવ્યો હતો. આ અનોખો પંડાલ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

આ સિવાય અમને એક ફેસબુક પેજ પર વાયરલ વીડિયો મળ્યો. યૂઝરે દુર્ગા પૂજા પંડાલનો એક એંગલથી વીડિયો પોસ્ટ કર્યો જે વાયરલ વીડિયોમાં દેખાતા દ્રશ્યો સાથે મેળ ખાય છે.

અન્ય મીડિયા અહેવાલો અનુસાર, આ વર્ષની દુર્ગા પૂજાની ઉજવણી માટે, કોલકાતાની સંતોષ મિત્ર સ્ક્વેર પૂજા સમિતિએ અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરની તર્જ પર દુર્ગા પૂજા પંડાલનું નિર્માણ કર્યું હતું. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે 16 ઓક્ટોબરે કોલકાતામાં રામ મંદિરની તર્જ પર બનેલા દુર્ગા પૂજા પંડાલનું ઉદ્ઘાટન કર્યું હતું.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વીડિયો કોલકાતાના સંતોષ મિત્ર સ્ક્વેરના દુર્ગા પૂજા પંડાલનો છે, અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનનું દ્રશ્ય નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:કોલકાતાના દુર્ગા પૂજા પંડાલનો વીડિયો અયોધ્યા રામ મંદિરનો ગણાવી વાયરલ કરાયો... જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: False