
દિલ્હી બાદ આમ આદમી પાર્ટી દ્વારા પંજાબમાં પણ સરકાર બનાવવામાં આવી હતી. જે બાદ હાલ આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે ત્યારે સોશિયલ મિડિયામાં સાચી-ખોટી ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. હાલમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 11 સેકેન્ડની ક્લિમ વાયરલ થઈ રહી છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાતની જનતાને ધમકી આપવામાં આવી.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો અધુરો છે. અરવિંદ કેજરીવાલ દ્વારા આ ભાષણનો વિડિયો અમિત શાહના સંદર્ભમાં કહેવામાં આવી રહ્યો હતો. ગુજરાતની જનતાને કેજરીવાલ ધમકી આપતા હોવાની વાત તદ્દન ખોટી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Vipul Shah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 માર્ચ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાતની જનતાને ધમકી આપવામાં આવી.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને મેંગો ન્યુઝ નામની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર અરવિંદ કેજરીવાલનો ઓરિજનલ વિડિયો પ્રાપ્ત થયો હતો. આ વિડિયો 19 ઓક્ટોબર 2016ના અપલોડ કરવામાં આવ્યો હતો.
જેમાં માહિતી આપવામાં આવી હતી કે, સુરતમાં વર્ષ 2016માં અરવિંદ કેજરીવાલની રેલી યોજાઈ હતી તે ભાષણનો આ વિડિયો છે. આ વિડિયોમાં 9.50 મિનિટ પર અરવિંદ કેજરીવાલ દ્વારા કહે છે કે, “અમિત શાહની સમગ્ર ગુજરાતને ચેતવણી છે કે, હું તો ગુજરાતને આજ રીતે ચલાવીશ. જો મારો વિરોધ કરશો તો હું તમને કચડી નાંખીશ. ગુજરાતવાસીઓ મારું તમે જે બગાડી શકતા હોવ એ બગાડી લો.” આમ અરવિંદ કેજરીવાલ તેમના ભાષણમાં અમિત શાહના સંદર્ભમાં કરી રહ્યા છે.
આમ આદમી પાર્ટી દ્વારા તેમની ઓફિશિયલ યુટ્યબ ચેનલ પર આ વિડિયો પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો અધુરો છે. અરવિંદ કેજરીવાલ દ્વારા આ ભાષણનો વિડિયો અમિત શાહના સંદર્ભમાં કહેવામાં આવી રહ્યો હતો. ગુજરાતની જનતાને કેજરીવાલ ધમકી આપતા હોવાની વાત તદ્દન ખોટી છે.

Title:અરવિંદ કેજરીવાલના અધુરા ભાષણનો વિડિયો ખોટા દાવા સાથે ફરી વાયરલ… જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: False
