
તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસના નેતા ચંદનજી ઠાકોરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસના નેતા ચંદનજી ઠાકોરે એક સભામાં એવું નિવેદન આપ્યું છે કે, આ દેશને અને કોંગ્રેસને હવે લઘુમતિ સમાજ એટલે કે મુસ્લિમો જ બચાવી શકે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસના નેતા ચંદનજી ઠાકોરનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2022 નો છે. એ સમયે તેઓએ આ મુદ્દે પ્રતિક્રિયા પણ આપી હતી. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 25 માર્ચ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આજે આખો દેશ પ્રભુ શ્રીરામ બની ગયેલ છે .ત્યારે પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર સ્ટેટમેન્ટ આપે છે…. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસના નેતા ચંદનજી ઠાકોરે એક સભામાં એવું નિવેદન આપ્યું છે કે, આ દેશને અને કોંગ્રેસને હવે લઘુમતિ સમાજ એટલે કે મુસ્લિમો જ બચાવી શકે છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર ટીવી9 ગુજરાતી દ્વારા 19 નવેમ્બર, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, સિદ્ધપુર બેઠકના કોંગી ઉમેદવાર ચંદનજી ઠાકોરનું વિવાદાસ્પદ નિવેદન, મુસ્લિમ સમાજ દેશને બચાવી શકે છે.
અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. ABP Asmita | Zee 24 Kalak | News 18 Gujarati
અમારી વધુ તપાસમાં અમને કોંગ્રેસના નેતા ચંદનજી ઠાકોર દ્વારા વાયરલ વીડિયો અંગે સ્પષ્ટતા કરતા એક સમાચાર ગુજરાત તક દ્વારા 20 નવેમ્બર, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
વધુમાં કોંગ્રેસ નેતા ચંદનજી ઠાકોરના આ નિવેદન અને વાયરલ વીડિયો અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર 19 નવેમ્બર, 2022 ના રોજ ટ્વિટ કરવામાં આવી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસના નેતા ચંદનજી ઠાકોરનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2022 નો છે. એ સમયે તેઓએ આ મુદ્દે પ્રતિક્રિયા પણ આપી હતી. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે મુસ્લિમો વિશે આપેલા નિવેદન અંગે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
Written By: Vikas VyasResult: Missing Context
