
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રતિદિવસ 800 થી 1000 કેસનો વધારો થતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ત્યારે સોશિયલ મિડિયામાં પણ અફવાઓનું બજાર ગરમ થયુ છે. હાલમાં એક રાજ્ય સરકારના સચિવના નામથી એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાત સરકાર દ્વારા કોરોનાને લઈ નવી અને કડક ગાઈડલાઈન બહાર પાડી છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, કોરોનાની નવી ગાઈડલાઈન્સ અંગે રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. સોશિયલ મિડિયામાં વાયરલ થતો મેસેજ તદ્દન ભ્રામક છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સમાચાર સુપરફાસ્ટ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 06 જાન્યુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગુજરાત સરકાર દ્વારા કોરોનાને લઈ નવી અને કડક ગાઈડલાઈન બહાર પાડી છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે આ અંગે ગૂગલ પર સર્ચ કરતા અમને નવી ગાઈડલાઈન્સ અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
ત્યારબાદ અમે વધુ સર્ચ કરતા અમને ગાંધીધામ ટુડે નામના મિડિયા હાઉસ દ્વારા પ્રસારિત એક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યુ હતુ કે, “સોશિયલ મિડિયના મેસેજ થી ભરમાશો નહી, કોરોનાની નવી ગાઈડલાઈન્સ અંગે રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરાઈ.”

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે પણ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “રાજ્ય સરકાર દ્વારા કોરોનાની નવી ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી નથી, જે બહાર પાડવામાં આવ્યે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, કોરોનાની નવી ગાઈડલાઈન્સ અંગે રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. સોશિયલ મિડિયામાં વાયરલ થતો મેસેજ તદ્દન ભ્રામક છે.

Title:શું ખરેખર કોરોનાની નવી ગાઈડલાઈન રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવી…?
Fact Check By: Yogesh KariaResult: False
