
તાજેતરમાં સોશિયલ મીડિયા પર સમાચારપત્રના કટિંગનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાત સરકાર કોરોનાની વેક્સિન મુકાવનાર તમામને 1000 રુપિયા આપશે એવી જાહેરાત મુખ્યમંત્રી વિજય રુપાણી દ્વારા કરવામાં આવી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ અને માહિતી વિભાગ દ્વારા આ પ્રકારની કોઈ જ જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી નથી એવું જણાવવામાં આવ્યું છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Manoj Gondaliya નામના ફેસબુક યુઝર દ્વારા 2 એપ્રિલ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, જેને જેને રસી મુકાવી છે એ બધા લાઇન માં ઊભા રહી જાજો 1000 રૃપિયા લેવા આવો ભોપો 100 વર્ષ નય મળે #સંવેદનશીલ_સરકાર #વિજયરૂપાની. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાત સરકાર કોરોનાની વેક્સિન મુકાવનાર તમામને 1000 રુપિયા આપશે એવી જાહેરાત મુખ્યમંત્રી વિજય રુપાણી દ્વારા કરવામાં આવી છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબના કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ નહતી.
ત્યાર બાદ અમે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગની વેબસાઈટ http://gujhealth.gujarat.gov.in/ પર સર્ચ કરતાં ત્યાં પણ અમને દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ નહતી. ત્યાર બાદ અમે આ અંગે વધુ તપાસ કરતાં અમને vtvgujarati.com દ્વારા 3 એપ્રિલ, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં પણ પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું જણાવવામાં આવ્યું છે. વધુમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આ પ્રકારની કોઈ જ જાહેરાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં ન આવી હોવાનું જણાવ્યું હતું.
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે ગુજરાત સરકારના માહિતી વિભાગનો સંપર્ક કરતાં ફરજ પરના અધિકારીએ અમને જણાવ્યું હતું કે, “કોરોનાની રસી મુકાવનાર દરેકને સરકાર તરફથી 1000 રુપિયા આપવામાં આવશે એવી કોઈ જ જાહેરાત આજ રોજ સુધી મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી નથી. જનતાએ આવી ખોટી અફવાઓ પર વિશ્વાસ ન કરવો જોઈએ.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ અને માહિતી વિભાગ દ્વારા આ પ્રકારની કોઈ જ જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી નથી એવું જણાવવામાં આવ્યું છે.

Title:શું ખરેખર ગુજરાત સરકાર વેક્સિન મુકાવનાર દરેકને 1000 રુપિયા આપશે…?
Fact Check By: Vikas VyasResult: False
