
હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજમાં કેન્સરના ઉપચારને લઈ મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ગંગાનગર ગામમાં 45 દિવસમાં ચોથા સ્ટેજનું કેન્સર મટાળી દેવામાં આવે છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા દાવા મુજબના સરનામે એક શખ્સ દ્વારા કેન્સરના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી. જે હાલ તે સ્થળેથી ફરાર થઈ ગયો છે અને સ્થાનિક તંત્ર દ્વારા તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Umaben Shah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 09 મે 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ગંગાનગર ગામમાં 45 દિવસમાં ચોથા સ્ટેજનું કેન્સર મટાળી દેવામાં આવે છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ફેસબુક જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા આ જ દાવા સાથેનો એક વિડિયો પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
કેન્સરનો ઈલાજ આ પ્રકારે કોઈ કરી આપતુ હોવાની વાત ગુજરાતના સોશિયલ મિડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી હતી. આ પ્રકારનો ઈલાજ થતો હોય તો સ્થાનિક મિડિયાએ પણ તેની નોંધ લીધી જ હોય તેથી અમે ગૂગલ પર “45 દિવસમાં કેન્સરનો ઈલાજ” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને NEWS18 ગુજરાતીનો 17 ડિસેમ્બર 2019નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ગંગારામ ગામના વિભાભાઈ નામના આ જ વૈધની માહિતી આપતો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ વૈધને ત્યાં આરોગ્ય વિભાગ તપાસ કરે તે પહેલા જ તે ત્યાંથી નાસી છૂટ્યા હતો. તેમજ ઈલાજના નામે તે લોકો પાસેથી પૈસા પડાવતા હતા.”

ત્યારબાદ અમને NEWS18 GUJARATI દ્વારા આ સ્થળે જઈ અને રિપોર્ટિગ કરવામાં આવ્યુ હતુ. જેમાં આ શખ્સ દવાના નામે લોકોને લૂટતો હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ અમને એક દર્દીના ભાઈનું અને સજકપર ગામના સરપંચનું ઈન્ટરવ્યુ પ્રાપ્ત થયુ હતુ. જેમાં તેઓ જણાવી રહ્યા છે કે, “આ વિભાભાઈ દ્વારા લોકોને લૂંટવાનું કામ કરવામાં આવી રહ્યુ છે.” જે તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ અમે સુરેન્દ્રનગરના આરોગ્ય અધિકારી પી.કે.પરમાર જોડે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ અંગે અમને જાણ થતા અમે તે સ્થળની મુલાકાત લીધી હતી. પરંતુ ત્યાં એલોપેથીની કોઈ દવા મળી ન હતી. તેમજ અમને મેડિકલનું કોઈ સર્ટીફિકેટ પણ મળ્યુ ન હતુ. તેમજ આ વ્યક્તિ પણ ત્યા હાજર ન હતા. જો કે, બાદમાં આયુર્વેદની એક ટીમ ત્યાં તપાસ માટે ગઈ હતી.”
ત્યારબાદ અમે સુરેન્દ્રનગર જિલ્લાના આયુર્વેદ આરોગ્ય અધિકારી પી.વી.પંડયા સાથે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ સ્થળે અમે મુલાકાત લીધી હતી. પરંતુ અમને ત્યાં સ્થળ પરથી કોઈ આયુર્વેદ દવા એવી મળી ન હતી. જેનાથી કેન્સરનો રોગ હમેશાં માટે મટી જાય એ પણ માત્ર 45 દિવસમાં ત્યાંથી અમને ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદ એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડિસિનનું વર્ષ 2002નું એક સર્ટીફિકેટ પ્રાપ્ત થયુ હતુ. જો કે, આ સર્ટીફિકેટ દર પાંચ વર્ષે રિન્યુ કરાવવાનું હોય છે. હાલ આ સર્ટીફિટેકને ખરાઈ માટે મોકલવામાં આવ્યુ છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.”
તેમજ બરોડાના એક પરિવારના સભ્યનું આ જ વૈધ દ્વારા આપેલી દવા લીધા બાદ મૃત્યુ થયાનો પણ આક્ષેપ તેમણે મુક્યો હતો. જે તેમણે ટીવી ઇન્ટરવ્યુમાં પણ જણાવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ કોઈ દર્દીને 4 સ્ટેજનું કેન્સર 45 દિવસમાં મટી જાય તે ખોટી વાત છે. તેમજ જે સરનામુ આપવામાં આવ્યુ છે. ત્યાં લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાનું સાબિત થાય છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા દાવા મુજબના સરનામે એક શખ્સ દ્વારા કેન્સરના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી. જે હાલ તે સ્થળેથી ફરાર થઈ ગયો છે અને સ્થાનિક તંત્ર દ્વારા તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Title:45 દિવસમાં કેન્સર મટાડી દેવાની દવા મળી આવી હોવાની દાવા સાથે ભ્રામક મેસેજ વાયરલ… જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: False
