જાણો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં અયોધ્યામાં જોવા મળેલા જટાયુના ટોળાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય....
તાજેતરમાં સોશિયલ મીડિયા પર પક્ષીઓના ટોળાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં જટાયુ નામના પક્ષીઓનું ટોળું જોવા મળ્યું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જટાયુ પક્ષીના નામે ગીધના ટોળાનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે એ જૂનો વીડિયો છે . આ વીડિયોને રામ મંદિર કે તાજેતરની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 3 જાન્યુઆરી, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, અદભુત સંયોગ લુપ્તપ્રાય થઈ રહેલા જટાયુ અયોધ્યા પહોંચી રહ્યા છે પ્રભુ શ્રી રામ ના સ્વાગત માટે જય જય શ્રી રામ . પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં જટાયુ નામના પક્ષીઓનું ટોળું જોવા મળ્યું તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વાયરલ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો વર્ષ 2021 અને વર્ષ 2022માં યુટ્યુબ પર મૂકવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો ઈન્ડોનેશિયાનો છે.
આ વીડિયો ઈન્ટરનેટ પર 2 વર્ષથી ઉપલબ્ધ હોવાથી એ શક્ય નથી કે આ પ્રાણ પ્રતિષ્ઠાના થોડા દિવસો પહેલાં અયોધ્યામાં જોવા મળેલા જટાયુનું ટોળું હોય. નીચે તમે વાયરલ વીડિઓ જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો સાથેના સમાચાર વર્ષ 2022 માં TV9 Marathi દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
વધુ તપાસમાં અમને 2021 ની બીજી એક ફેસબુક પોસ્ટ પણ મળી જેમાં આ પક્ષીઓને હિમાલયન ગીધ તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ ગીધ મુખ્યત્વે હિમાલય અને તિબેટીયન ઉચ્ચપ્રદેશમાં જોવા મળે છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જટાયુ પક્ષીના નામે ગીધના ટોળાનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે એ જૂનો વીડિયો છે . આ વીડિયોને રામ મંદિર કે તાજેતરની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
Title:જાણો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં અયોધ્યામાં જોવા મળેલા જટાયુના ટોળાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય....
Written By: Vikas VyasResult: False