આ ઘટનાને ગિરનાર તેમજ ભારત સાથે કોઈ લેવા-દેવા નથી. સિંહણને આ ઘટનામાં કોઈ પસ્તાવો ન હતો થયો તેમજ તેનું મોત થયુ હોવાની વાત પણ તદ્દન ખોટી છે. જે અંગેની પૃષ્ટી ફોટો લેનાર ફોટોગ્રાફર દ્વારા કરવામાં આવી છે.

ગુજરાતના સોશિયલ મિડિયામાં એક સ્ટોરી ખૂબ વાયરલ થઈ રહી હતી. સિંહ અને હરણની વાયરલ સ્ટોરીમાં સંવેદના દર્શાવવામાં આવી હતી અને સિંહ દ્વારા ગર્ભવતી હરણનો શિકાર કર્યા બાદ દુખ વ્યક્ત કરવામાં આવ્યુ હતુ અને બાદમાં તેનું પણ હાર્ટ એટેકથી મોત થઈ ગયુ હતુ. આ પ્રકારની સ્ટોરી ખૂબ જ વાયરલ થઈ રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Jay Keshvala નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 09 જૂલાઈ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “ગીરના સિંહે એક હરણનો શિકાર કર્યો હતો. જેવું તેને ખાવા માટે બચકું ભર્યું તો તેને અહેસાસ થયો કે હરણી ગર્ભવતી હતી અને તેના પેટમાં બચ્ચું છે. સિંહે ધીમેથી તે બચ્ચાંને પેટમાંથી બહાર કાઢ્યું. પરંતુ બહુ મોડું થઇ ગયું હતું. કારણ કે બચ્ચું મૃત્યુ પામ્યું હતું. મૃત બચ્ચાંને જમીન પર મુકીને લંગડાતા પગલે સિંહ ચાલી નીકળ્યો. જે ફોટોગ્રાફર આ તમામ ફોટા લઇ રહ્યો હતો. તેને શંકા થઇ કે સિંહ કશુક બોલી જ શક્યો નહોતો અને શાંત થઇ ગયો હતો. ફોટોગ્રાફરે તમામ હિંમત ભેગી કરીને તેની પાસે ગયો ત્યારે તેણે જોયું સિંહ મૃત્યુ પામ્યો હતો. મૃત સિંહને વેટરન ડોકટર પાસે મોકલવામા આવ્યો જેથી તે સિંહ ના મૃત્યુ નું કારણ જાણી શકે. ડોકટરે તપાસ કરતા જાણ થઇ કે સિંહ ને હાર્ટ એટેક આવ્યો હતો અને તેના કારણે તે મૃત્યુ પામ્યો હતો. આ ફોટોગ્રાફ અને ફોટોગ્રાફર સમજાવે છે સિંહ જેવું હદય રાખવાનો એ અર્થ નથી કે તમે તમારાથી નબળાનો જીવ લઇ લો, પરંતુ તમારું હદય તે દુખ સહન ના કરી શક્યુ કે એક નિર્દોષ માતા અને તેને બાળકના મૃત્યુને કારણે તમે જે દુખનો અહેસાસ કર્યો હતો. એક અબોલ જંગલનો રાજા જીવનનું સત્ય કેટલી સાદાઇથી સમજાવી જાય છે.” આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગીરની સિંહણે હરણનો શિકાર કર્યો હતો. બાદમાં સિંહનું પણ મૃત્યુ થયુ હતુ સિંહનું પીએમ કરતા હાર્ટએટેકથી મોત થયુ હોવાનું જણાયુ.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ડેઈલીમેલ.કો.યુકેનો વર્ષ 2009નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ સમગ્ર ઘટના અંગે જણાવવામાં આવ્યુ હતુ. આ ફોટોને સાઉથ આફ્રિકામાં મૈડિકે ગેમ રિઝર્વમાં ગેરી વૈન ડેર વોલ્ટ નામના ફોટોગ્રાફરે પાડ્યા હતા. સમગ્ર ઘટના વર્ણાવવામાં આવી હતી. પરંતુ સિંહણનું બાદમાં મોત થયુ હોવાનો કોઈ ઉલ્લેખ નથી.


DAILYSABAH.COM (ARCHIVE) દ્વારા પણ આ સમગ્ર ઘટનાને ફોટો સાથે વર્ણવવામાં આવી હતી. પરંતુ તેમાં પણ ક્યાંય સિંહણનું મોત થયુ હોવાનું જણાવવામાં આવ્યુ ન હતુ.
તેમજ સત્ય જાણવા અમે ફોટોગ્રાફર ગેરી વૈન ડેર વોલ્ટનો સંપર્ક સાધવાનું નક્કી કર્યુ હતુ. દરમિયાન અમને તેમની વેબસાઈટ પ્રાપ્ત થઈ હતી. જે પરથી અમે તેમનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ ફોટોગ્રાફ તેમના દ્વારા વર્ષ 2007માં મૈડિકે ગેમ રિઝર્વમાં લેવામાં આવ્યા હતા. તેમજ દુનિયાભરમાં આ ફોટો ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યા છે. સિંહને કોઈ પસ્તાવો ન હતો થયો. તેમજ સિંહનું મોત થયુ હોવાની વાત પણ તદ્દન ખોટી છે.”

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલો દાવો તદ્દન ખોટો છે. સિંહણને આ ઘટનામાં કોઈ પસ્તાવો ન હતો થયો તેમજ તેનું મોત થયુ હોવાની વાત પણ તદ્દન ખોટી છે. જે અંગેની પૃષ્ટી ફોટો લેનાર ફોટોગ્રાફર દ્વારા કરવામાં આવી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શું ખરેખર ગીરનારના સિંહ દ્વારા હરણનો શિકાર કરવામાં આવ્યા બાદ આ ઘટના બની હતી…? જાણો શું છે સત્ય….
Written By: Frany KariaResult: False
