
Afzal Lakhani નામના ફેસબુક યુઝર દ્વારા Garvi Gujarat ગરવી ગુજરાત નામના ફેસબુક પેજ પર તારીખ 7 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “આતંકી હુમલાની ભીતિનો પત્ર ભાજ૫ના ભરત બારોટ અને ભૂષણ ભટ્ટે ફરતો કર્યો બોલો હવે આ લોકો પોતેજ કરે અને પોતેજ છુપાવે..આતંકી ખુદ ભાજપ જ નીકળી બોલો..” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 49 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 24 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આંતકી હુમલાનો પત્ર ભાજપાના ભૂષણ ભટ્ટે અને ભરત બારોટે વાયરલ કર્યો.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર “આતંકી હુમલાની દહેશત વ્યક્ત કરતો ગુજરાત IBના નામનો એક પત્ર” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને વીટીવી ગુજરાતીનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ હુમલાની ધમકી અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “અમિત શાહ વિજય રૂપાણી સહિત 13 લોકો આંતકીઓના નિશાને છે. જેમાં ભૂષણ ભટ્ટ અને ભરત બારોટનું પણ નામ છે.” જે અહેવાલ તમે નીચે વાંચી શકો છો. પરંતુ આ અહેવાલમાં ક્યાંય પણ પત્ર ભૂષણ ભટ્ટ અને ભરત બારોટ દ્વારા ફેલાવવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યુ નથી.

આ અંગેની માહિતી આપતો અહેવાલ ZEE 24 KALAK દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં પણ ક્યાંય પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જે તમે નીચે વાંચી શકો છો.

તેમજ જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને દિવ્યભાસ્કરનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ કેસની તપાસ ATS અને ક્રાઈમ બ્રાંચ કરી રહી છે.” જે તમે નીચે વાંચી શકો છો.

તો પછી આ પ્રકારની વાત આવી ક્યાંથી તે જાણવા ફરી અમે ગૂગલનો સહારો લીધો હતો. જેના આધારે અમને સંદેશનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ પત્ર ભૂષણ ભટ્ટે અને ભરત બારોટે વાયરલ કર્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે.” પરંતુ તે વાતનો કોઈપણ આધાર આ અહેવાલમાં મુકવામાં આવ્યો ન હતો. જે તમે નીચે વાંચી શકો છો.

જો કે, અમારી પડતાલને મજબૂત કરવા અમે ક્રાઈમ બ્રાંચનો સંપર્ક સાધ્યો હતો. નામ ન લખવાની શરતે એક અધિકારીએ અમને જણાવ્યુ હતુ કે, “આ કેસની તપાસ હજુ ચાલુ છે. પરંતુ તમે જે વાત કરી રહ્યા છો. તે તદ્દન ખોટી છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની કોઈ માહિતી સરકારી સંસ્થા દ્વારા આપવામાં આવી નથી. તેમજ ક્રાઈમ બ્રાંચ દ્વારા પણ આ વાતને નકારી દેવામાં આવી છે.

Title:શું ખરેખર ભરત બારોટ અને ભૂષણ ભટ્ટે જ આંતકી હુમલાનો પત્ર વાયરલ કર્યો હતો…? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: False
