
बड़ौदेकर बंधु નામના ફેસબુક યુઝર દ્વારા 7 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “રાજ્યમાં વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજીયાત, પરિવહન મંત્રી આર.સી.ફળદુએ કરી જાહેરાત.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટમ પર 186 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 6 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા, તેમજ 17 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રાજ્યમાં હેલ્મેટનો કાયદો ફરજીઆત કરવામાં આવ્યો જે અંગે રાજ્યના પરિવહન મંત્રીએ જાહેરાત કરી.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર “રાજ્યમાં વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજીયાત” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને VTV ન્યુઝ નો તારીખ 7 જાન્યુઆરી 2020નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો, જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “હેલ્મેટ અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી, અંતિમ નિર્ણય કેન્દ્ર લેશે. હેલ્મેટ ફરજીઆત કરવા અંગે હજુ કોઈ નિર્ણય નથી લેવાયો હોવાનું જણાવવામાં આવ્યુ હતું.”

ત્યારબાદ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ABPLIVE નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “શહેરી વિસ્તારમાં હેલ્મેટ માંથી મુક્તિ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારને પત્ર લખવામાં આવ્યો છે. જે અંગે કેન્દ્ર સરકાર અંતિમ નિર્ણય લેશે.”

તેમજ NEWS18 દ્વારા પ્રસારિત અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે કે, “આર.સી.ફળદુ દ્વારા રોડ સેફટી કાઉન્સીલને શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવામાં છૂટછાટ આપવા રજૂઆત કરવામાં આવી છે.”

ત્યારબાદ અમે રાજ્યના પરિવહન મંત્રીનો સંપર્ક કર્યો હતો અને હેલ્મેટના કાયદા અંગે પૂછતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, “હાલ અમે કેન્દ્ર સરકારને રાજ્યના શહેરી વિસ્તારમાં હેલ્મેટ મુક્તિ માટે પત્ર લખ્યો છે. કેન્દ્ર સરકારે જે નિર્ણય લેશે તેને અંતિમ ગણવામાં આવશે. હજુ રાજ્યમાં હેલ્મેટ ફરજીઆત અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.”

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, હાલમાં ગુજરાત રાજ્યમાં હેલ્મેટ ફરજીયાત કરવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ અંગે હજુ રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે. જે અંગે કેન્દ્ર સરકારને હજુ જવાબ આવવાનો બાકી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, રાજ્યમાં હેલ્મેટ ફરજીઆત કરવા અંગે કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. જેની પૃષ્ટી પરિવહન મંત્રી આર.સી.ફળદુ દ્વારા કરવામાં આવી છે.

Title:શું ખરેખર ગુજરાત રાજ્યમાં હેલ્મેટનો કાયદો ફરજીયાત કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
