
તાજેતરમાં સોશિયલ મીડિયા પર પ્રખ્યાત સમાચાર ચેનલ આજ તકની એક ટ્વિટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં એવું લખવામાં આવ્યું છે કે, “ગાંધી પરિવાર કે ખિલાફ સીબીઆઇ નહીં ઢૂંઢ પાઈ એક ભી ભ્રષ્ટાચાર કા સબૂત, કોર્ટ મેં ગાંધી પરિવાર સે ભાજપાને માંગી માફી”. આ લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગાંધી પરિવારના વિરુદ્ધમાં સીબીઆઇ એક પણ સબૂત શોધી ન શકતા કોર્ટમાં ભાજપાએ ગાંધી પરિવારની માફી માંગી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં આજ તક સમાચાર ચેનલની ટ્વિટનો જે ફોટો મૂકવામાં આવ્યો છે તેને એડિટ કરવામાં આવ્યો છે. આજ તક દ્વારા જ આ ટ્વિટ ખોટી અને એડિટેડ હોવાનું જણાવવામાં આવ્યું છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી વાયરલ કરવામાં આવી રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Girish Sanghvi નામના ફેસબુક યુઝર દ્વારા 29 ઓગષ્ટ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં ફોટોમાં મૂકવામાં આવેલી આજ તક સમાચાર ચેનલની ટ્વિટમાં એવું લખવામાં આવ્યું છે કે, गांधी परिवार के खिलाफ सीबीआई नहीं ढूंढ पाई एक भी भ्रष्टाचार का सबूत, कोर्ट में गांधी परिवार से भाजपा ने मांगी माफी. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગાંધી પરિવારના વિરુદ્ધમાં સીબીઆઇ એક પણ સબૂત એકત્ર ન કરી શકતા કોર્ટમાં ભાજપા દ્વારા ગાંધી પરિવારની માફી માંગવામાં આવી. આ ટ્વિટ આજ તક સમાચાર ચેનલ દ્વારા કરવામાં આવી છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર ગાંધી પરિવારના વિરુદ્ધમાં સીબીઆઇ એક પણ સબૂત એકત્ર ન કરી શકતા કોર્ટમાં ભાજપા દ્વારા ગાંધી પરિવારની માફી માંગવામાં આવી છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ સમાચાર કે માહિતી પ્રાપ્ત થઈ નહતી.
ત્યાર બાદ અમે આજ તક સમાચાર ચેનલના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર સર્ચ કરતાં અમને 31 ઓગષ્ટ, 2021 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આજ તકના નામે આ પ્રકારે ખોટી ટ્વિટનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
અમારી વધુ તપાસમાં અમને આજ તક સમાચાર ચેનલના સત્તાવાર ફેસબુક પર પણ આ ટ્વિટનો ફોટો ખોટો હોવા અંગેની માહિતી આપતી પોસ્ટ મૂકવામાં આવી હતી.
ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં આજ તક સમાચાર ચેનલ દ્વારા કરવામાં આવેલી ટ્વિટનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં આજ તક સમાચાર ચેનલની ટ્વિટનો જે ફોટો મૂકવામાં આવ્યો છે તેને એડિટ કરવામાં આવ્યો છે. આજ તક દ્વારા જ આ ટ્વિટ ખોટી અને એડિટેડ હોવાનું જણાવવામાં આવ્યું છે.

Title:શું ખરેખર ભાજપા દ્વારા ગાંધી પરિવારની માફી માંગવામાં આવી…?
Fact Check By: Vikas VyasResult: False
