
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઘાટ પર ઉભેલા પોલીસ જવાનોની વચ્ચે લાઈનમાં બેસીને ભોજન કરી રહેલા વાનરોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વારાણસી ઘાટ પર જન્માષ્ટમીના દિવસે વાનરોને ભોજન કરાવવામાં આવ્યું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ઘાટ પર ઉભેલા પોલીસ જવાનોની વચ્ચે લાઈનમાં બેસીને ભોજન કરી રહેલા વાનરોનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વાસ્તવિક નહીં પરંતુ AI ટેકનોલોજીની મદદથી બનાવવામાં આવેલો વીડિયો છે. આ વીડિયોને વાસ્તવિક પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 17 ઓગસ્ટ, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, જન્માષ્ટમી વારાણસી ઘાટ પર નો સુંદર નઝારો વાનર સેના ને ભોજન જય જય શ્રી રામ. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વારાણસી ઘાટ પર જન્માષ્ટમીના દિવસે વાનરોને ભોજન કરાવવામાં આવ્યું તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો એક યુટ્યુબ યુઝર દ્વારા 30 જુલાઈ, 2025 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેના કેપ્શનમાં લખ્યું છે કે,100 वानर भक्तों को सजे थालों में केलों का भव्य भोग
વધુ તપાસમાં અમને જાણવા મળ્યું કે, “વાયરલ વીડિયો જેવી જ કેટલીક AI-જનરેટેડ વિસ્ફોટ ક્લિપ્સ આ YouTube ચેનલ પર અપલોડ કરવામાં આવી હતી.”
આ યુટ્યુબ ચેનલનું વર્ણન જણાવે છે કે, “આ ચેનલ પરના તમામ વીડિયો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AI દ્વારા બનાવવામાં આવ્યા છે.”
ઉપરોક્ત આ જ વીડિયોનો એક સ્ક્રિનશોટ લઈને અમે hivemoderation.com નામની એક વેબસાઈટ પર ચેક કરતાં આ અમને AI દ્વારા બનાવવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
અંતમાં અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે વારાણસી ચોક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતાં અમને પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર વિમલ શર્માએ જણાવ્યું હતું કે, આવો કોઈ જ કાર્યક્રમ હમણાં વારાણસી ઘાટ પર કરવામાં આવ્યો નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ઘાટ પર ઉભેલા પોલીસ જવાનોની વચ્ચે લાઈનમાં બેસીને ભોજન કરી રહેલા વાનરોનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વાસ્તવિક નહીં પરંતુ AI ટેકનોલોજીની મદદથી બનાવવામાં આવેલો વીડિયો છે. આ વીડિયોને વાસ્તવિક પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો જન્માષ્ટમીના દિવસે વારાણસી ઘાટ પર વાનરોને ભોજન કરાવવામાં આવ્યું હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
