
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગણેશ વિસર્જનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જામનગરમાં ગણેશ વિસર્જન સમયે બનેલી દુર્ઘટનાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ગણેશ વિસર્જનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ગુજરાતના જામનગરનો નહીં પરંતુ મુંબઈના GSB સેવા મંડળના ગણપતિ વિસર્જનનો છે. આ વીડિયોને ગુજરાત સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે?
એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 2 સપ્ટેમ્બર, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, જામનગર :-ગણપતિ વિસર્જન કરતી વખતે અચાનક ઘટી મોટી દુર્ઘટના. ગણપતિ બાપા ની મૂર્તિ અચાનક નમી જતા કોણ પોતાનો જીવ બચાવવા પાણીમાં છલાંગ લગાવી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જામનગરમાં ગણેશ વિસર્જન સમયે બનેલી દુર્ઘટનાનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આ જ વીડિયો યુથ ઓફ જીસેસબી દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર 1 સપ્ટેમ્બર, 2025ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, મુંબઈના GSB સેવા મંડળના 71મા ગણેશોત્સવનું વિસર્જન. આ વીડિયોમાં 2.46.47 મિનિટ પછી વાયરલ વીડિયોના દ્રશ્યો જાઈ શકો છો.
ત્યાર બાદ અમે વાયરલ વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું કે, વિસર્જન થઈ રહેલા ગણેજીના નીચેના ભાગ પર जी.एस.बी सेवा मंडळ એવું સ્પષ્ટ લખેલું છે. જે તમે નીચે જોઈ શકો છો. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, આ વીડિયો જામનગરનો નહીં પરંતુ મુંબઈનો જ છે

ઉપરોક્ત આ જ વીડિયો અન્ય યુટ્યુબ યુઝર દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યો હતા. જે તમે અહીં જોઈ શકો છો. Youtube Post 1 | Youtube Post 2
અમારી વધુ તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે જામનગર ખાતે એક સ્થાનિક પત્રકારનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, જામનગરમાં આવી કોઈ જ દુર્ઘટના તાજેતરમાં બની નથી અને આ વીડિયો પણ જામનગરનો નથી.
ત્યાર બાદ અમે મુંબઈ ખાતે GSB સેવા મંડળનો પણ સંપર્ક કર્યો હતો. ત્યારે અમને ફરજ પરના એક મહિલા કર્મચારીએ જણાવ્યું હતું કે, આ અમારા પંડાલના જ ગણપતિના વિસર્જનનો વીડિયો છે. અમારા ત્યાં કોઈ બીજી દુર્ઘટના બની નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ગણેશ વિસર્જનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ગુજરાતના જામનગરનો નહીં પરંતુ મુંબઈના GSB સેવા મંડળના ગણપતિ વિસર્જનનો છે. આ વીડિયોને ગુજરાત સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો જામનગરમાં ગણેશ વિસર્જન સમયે થયેલી દુર્ઘટનાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
