
હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, અમદાવાદની એક હેરીટેજ સાઈડ પર લોકોની ભીડ જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમદાવાદના રાણીના હજીરા સાઇટ પરથી મુસ્લિમ મહોલ્લાનું દબાણ દૂર કરાતા ત્યાંથી 1600 વર્ષ જુનુ પ્રાચીન મંદિર મળી આવ્યુ.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 09 ઓક્ટોબર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અમદાવાદના રાણીના હજીરા સાઇટ પરથી મુસ્લિમ મહોલ્લાનું દબાણ દૂર કરાતા ત્યાંથી 1600 વર્ષ જુનુ પ્રાચીન મંદિર મળી આવ્યુ.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને 21 જાન્યુઆરી 2024નો રિવો.ઈનનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “શહેરના કોટ વિસ્તારમાં માણેકચોક પાસે આવેલા હેરિટેજ સ્થળ એવા રાણીના હજીરા પાસે આવેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. અહમદશાહ બાદશાહ અને રાણીના હજીરા વિસ્તારમાં આસપાસમાં ગેરકાયદેસર રીતે તાડપત્રીઓ બાંધી અને વસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હતું. મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આસપાસના દબાણો દૂર કર્યા હતા.”

તેમજ વધુ સર્ચ કરતા અમને દૈનિક જાગરણનો પણ અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “અમદાવાદની મહાનગરપાલિકાએ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે હેરિટેજ સ્મારકો અને ઇમારતોને અતિક્રમણ મુક્ત કરવાનું અભિયાન છેડ્યું છે. માણેક ચોક પાસે રાણીનો હજીરો બનેલો છે. આ એક મકબરો છે જેને મુગલાઈ બીબીનો મકબરો તરીકે પણ કહેવામાં આવે છે. અહીં સેંકડો વર્ગમીટરનું અતિક્રમણ હટાવીને હવે તેને પર્યટકો માટે ખોલી દેવાયો છે. અહીં મુસ્લિમ વેપારીઓ દ્વારા ચારે તરફથી કબજો જમાવી દેવાયો હતો. ગુજરાતના વિશ્વ વિખ્યાત પારંપરિક નૃત્ય ગરબાના પોશાક, અન્ય વસ્ત્રો, હસ્તશિલ્પ અને કૃત્રિમ આભૂષણોનું આ મોટું બજાર છે. મુસ્લિમ વેપારીઓ દ્વારા અહીં ચારે તરફથી અતિક્રમણ કરાયું હતું. પરંતુ ગત દિવસોમાં મહાપાલિકાએ તેને હઠાવી દીધું જેથી એક તરફ બનેલા દાદર તથા ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષમનું સાઇન બોર્ડ પણ દેખાવા લાગ્યું હતું.”

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત બનાવવા અમે અમદાવા મ્યુનિસિપલ કમિશ્નર એમ.થેનારસનનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “વાયરલ મેસેજ તદ્દન ખોટો છે. વર્ષની શરૂઆતમાં હેરિટેજ સાઈટની આસપાસના દબાણો દૂર કરાયાનો આ વીડિયો છે. સમાંયતરે આ પ્રકારે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. મુસ્લિમ મોહલ્લામાંથી હિન્દુ મંદિર મળી આવ્યાની વાત તદ્દન ખોટી છે. આ ફક્ત દબાણ દૂર કરવાની કાર્યવાહી છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો એએમસી દ્વારા કરવામાં હેરિટેજ સાઈટ પરથી દબાણ દૂર કરવામાં આવ્યા તેનો વીડિયો છે. પ્રાચીન મંદિર મળી આવ્યુ હોવાની વાત તદ્દન ખોટી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
