જાણો ટનલમાંથી બહાર આવી રહેલા વ્યક્તિઓના વાયરલ વીડિયોનું શું છે સત્ય...
તાજેતરમાં ઉત્તરકાશી ખાતે ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને ભારે જહેમત બાદ 17 દિવસે હેમખેમ બહાર નીકાળવામાં આવ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર આવો જ ટનલમાંથી નીકળી રહેલા વ્યક્તિઓનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ટનલમાંથી નીકળતા વ્યક્તિઓનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એક મોકડ્રીલનો છે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે, ટનલમાં ફસાયેલા શ્રમિકોને આ રીતે બહાર નીકાળવામાં આવશે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 28 નવેમ્બર, 2023ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ઉત્તરકાશીથી આખરે સફળ થયું રેસ્ક્યુ ઓપરેશન.17 દિવસ બાદ મોતના મોંઢામાંથી બચાવી લેવાયા 41 શ્રમિકો.ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા મજૂરોને નવી જિંદગી મળી છે. 17 દિવસ બાદ ટનલમાંથી હેમખેમ બહાર કઢાયા.રેટ હોલ માઈનિંગ સિસ્ટમ દ્વારા કરાયું 57 મીટર ખોદકામ.રેટ હોલ માઈનિંગ સિસ્ટમ 57 મીટર ઊંડું ખોદકામ કરીને 41 મજૂરોને બહાર કાઢ્યા.મજૂરોને તાત્કાલિક સારવાર માટે ટનલના પ્રવેશદ્વાર પાસે 41 એમ્બ્યુલન્સ પણ તહેનાત કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા તેનો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો સાથેના સમાચાર અમને એબીપી લાઈવ દ્વારા 24 નવેમ્બર, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા શ્રમિકોને કેવી રીતે બહાર નીકાળવામાં આવશે એ પહેલાં NDRF ની ટીમ દ્વારા એક મોકડ્રીલ કરવામાં આવી હતી.ઈન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા સમાચાર મુજબ, NDRF દ્વારા એક મોકડ્રીલ કરવામાં આવી હતી. જેમાં તેઓએ બતાવ્યું હતું કે, ઉત્તરકાશીની સુરંગમાં ફસાયેલા લોકોને કેવી રીતે બચાવવામાં આવશે. આમાં તેમણે વ્હીલ્સવાળા સ્ટ્રેચરનો ઉપયોગ બતાવ્યો હતો.
અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. The Tribune | deccanchronicle.com | OTV News English
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ટનલમાંથી નીકળતા વ્યક્તિઓનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એક મોકડ્રીલનો છે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે, ટનલમાં ફસાયેલા શ્રમિકોને આ રીતે બહાર નીકાળવામાં આવશે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:જાણો ટનલમાંથી બહાર આવી રહેલા વ્યક્તિઓના વાયરલ વીડિયોનું શું છે સત્ય...
Written By: Vikas VyasResult: False