
હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પોલીસ કાર રોડ પાસે આવી ઉભી રહે છે અને બાદમાં રોડ પાસે આવેલી પંચરની દુકાન પર રહેલા વ્યક્તિને ડંડાથી માર મારે છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોલીસ દ્વારા મારમારવામાં આવેલી આ ઘટના ગુજરાતની છે. ગુજરાત પોલીસ દ્વારા આ પ્રકારે મારમારવામાં આવ્યો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાત પોલીસનો નહિં પરંતુ રાજસ્થાનની બાંસવાડા પોલીસનો છે. વિડિયોમાં મારમારનાર પોલીસ અધિકારી સામે જિલ્લા પોલીસ વડા દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Sanjay Ezhava નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 06 મે 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોલીસ દ્વારા મારમારવામાં આવેલી આ ઘટના ગુજરાતની છે. ગુજરાત પોલીસ દ્વારા આ પ્રકારે મારમારવામાં આવ્યો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા સીસીટીવીનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને પત્રિકાનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ ઘટના રાજસ્થાનના બાંસવાડામાં બનવા પામી હતી. જ્યાં પંચર બનાવનાર દિવ્યાંગ વ્યક્તિને ખૂબ મારમાર્યો હતો. ઉદયપુર રોડ પર લીયો સર્કલ પાસે કમલેશ બૈરાગી નામના વ્યક્તિને મારમારવામાં આવ્યો હતો.”

તેમજ વધુ પડતાલ કરતા અમને ન્યુઝ24નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જે વ્યક્તિને મારમારવામાં આવ્યો તે સ્પષ્ટ જણાવે છે. કે તે બાંસવાડાનો રહેવાસી છે અને દિવ્યાંગ છે તેમજ તેણે એસપી પાસે ન્યાયની માંગણી પણ કરી છે. આ વ્યક્તિનું નિવેદન તમે નીચે જોઈ શકો છો.
તેમજ આ દુકાનદાર સાથે મારપીટ કરનાર સદર પોલીસ સ્ટેશનના સીઆઈ રતન સિંહને બાંસવાડાના જિલ્લા પોલીસ વડા દ્વારા કાર્યવાહીના પગલે રિઝર્વ પોલીસ લાઈન હાજર કર્યા હતા. જે આદેશની નકલ તમે નીચે જોઈ શકો છો.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાત પોલીસનો નહિં પરંતુ રાજસ્થાનની બાંસવાડા પોલીસનો છે. વિડિયોમાં મારમારનાર પોલીસ અધિકારી સામે જિલ્લા પોલીસ વડા દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે.

Title:શું ખરેખર ગુજરાત પોલીસ દ્વારા પંચરની દુકાન પર મારપીટ કરવામાં આવી…?
Fact Check By: Yogesh KariaResult: False
