
Gujarat Ni Asmita નામના ફેસબુક પેજ દ્વારા 2 ડિસેમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, justice for प्रियंका रेड्डी 😥😥😥😥😥😥. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો હૈદરાબાદમાં બનેલી સામૂહિક બળાત્કારની ઘટનાની પીડિતાના અંતિમ સંસ્કારનો છે. આ પોસ્ટને 357 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 10000 થી વધુ લોકો દ્વારા આ વીડિયોને જોવામાં આવ્યો હતો. 63 લોકો દ્વારા પોતાના મત રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ 28 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર આ વીડિયો હૈદરાબાદમાં બનેલી સામૂહિક બળાત્કારની પીડિતાના અંતિમ સંસ્કારનો છે કે કેમ? એ જાણવા સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડ સાથે સર્ચ કરતાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબનો કોઈ જ વીડિયો કે કોઈ માહિતી પ્રાપ્ત થી ન હતી. તેથી અમે અમારી તપાસને ગળ વધારી હતી.
અમારી વધુ તપાસમાં અમને એ જાણવા મળ્યું હતું કે, હૈદરાબાદમાં 27 નવેમ્બર, 2019 ના રોજ એક મહિલા વેટનરી ડોક્ટરને મદદના બહાને તેની સાથે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો અને પછી તેને સળગાવીને હત્યા કરી દેવામાં આવી હતી. તેનો મૃતદેહ પોલીસને 28 નવેમ્બરના રોજ પુલ નીચેથી મળી આવતાં આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો.અમારી વધુ તપાસમાં અમને ઈટીવી આંધ્રપ્રદેશ નામની સમાચાર ચેનલ દ્વારા 28 નવેમ્બર, 2019 ના રોજ પ્રકાશિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં તમે હૈદરાબાદના જૂના પુલે કબ્રસ્તાનમાં પીડિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા એ માહિતી તેમજ અંતિમ સંસ્કારના દ્રશ્યો જોઈ શકો છો.
આ બંને વીડિયોની તુલના પરથી એ સ્પષ્ટ સાબિત થઈ જાય છે કે, વાયરલ થઈ રહેલો વીડિયો હૈદરાબાદ સામૂહિત બળાત્કારની પીડિતાના અંતિમ સંસ્કારનો નથી. વધુમાં અમને સાક્ષી સમાચાર દ્વારા 28 નવેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પીડિતાના મૃતદેહના પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો અને જૂના પુલ કબ્રસ્તાન ખાતે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જે સમાચાર તમે નીચે જોઈ શકો છો.

ત્યાર બાદ વધુ તપાસમાં ફેક્ટ ક્રેસેન્ડોની મરાઠી ટીમ દ્વારા પણ આ વીડિયોની સત્યતા તપાસવામાં આવી હતી. જેમાં અમારી મરાઠી ટીમ દ્વારા હૈદરાબાદના જૂના પુલ કબ્રસ્તાનના સંચાલક સાથે આ વીડિયો અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “ઈટીવી આંધ્રપ્રદેશ દ્વારા પીડિતાના અંતિમ સંસ્કારનો જે વીડિયો દર્શાવવામાં આવ્યો છે એ સાચો છે. જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો પીડિતાના અંતિમ સંસ્કારનો નથી.”
પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો કોઈ રણપ્રદેશમાં હોય એવું લાગી રહ્યું છે. પરંતુ હજુ સુધી આ વીડિયો ક્યાંનો છે એ જાણી શકાયું નથી. જ્યારે એ સ્પષ્ટ સાબિત થાય છે કે, આ વીડિયો હૈદરાબાદની સામૂહિક બળાત્કારની પીડિતાના અંતિમ સંસ્કારનો તો નથી જ.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આ વીડિયો હૈદરાબાદમાં સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી પીડિતાના અંતિમ સંસ્કારનો નથી.
છબીઓ સૌજન્ય : ગુગલ

Title:શું ખરેખર આ વીડિયો હૈદરાબાદમાં સામૂહિક બળાત્કારની ભોગ બનેલી પીડિતાના અંતિમ સંસ્કારનો છે…?
Fact Check By: Vikas VyasResult: False
