જાણો જાહેરમાં થઈ રહેલી એક યુવકની હત્યાના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય...
તાજેતરમાં સોશિયલ મીડિયા પર જાહેરમાં ધારદાર હથિયાર વડે એક યુવકની હત્યાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મુંબઈમાં બજરંગ દળના કાર્યકર અરવિંદ વૈધની જાહેરમાં હત્યા કરવામાં આ તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જાહેરમાં ધારદાર હથિયાર વડે યુવકની હત્યાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ મુંબઈનો નહીં પરંતુ આંધ્રપ્રદેશના વિનુકોંડા ખાતે બનેલી ઘટનાનો છે. જેમાં કોઈ પણ સાંપ્રદાયિક એંગલ નથી. આ ઘટનામાં હુમલાખોર અને ભોગ બનનાર બંને મુસ્લિમ ધર્મના જ યુવકો હતા. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી અને ભ્રામક માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 31 જુલાઈ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, મુંબઈમાં બજરંગ દળનો કાર્યકર - ધર્મ રક્ષક - બહાદુર અરવિંદ વૈદ્ય કાલ રાત્રે ધર્મની રક્ષા માટે શહીદ થયો - જેહાદીઓ દ્વારા રસ્તા પર મારી નાખવા માં આવ્યા - હિંદુઓ તમારી આંખો ખોલો, જૂથમાં આવો - બધા ધર્મો ની સમાનતા છોડો - આ વિશ્વાસ છોડો કે જેહાદીઓ સારા છે 😡. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મુંબઈમાં બજરંગ દળના કાર્યકર અરવિંદ વૈધની જાહેરમાં હત્યા કરવામાં આ તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ તેનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર દૈનિક ભાસ્કર દ્વારા 18 જુલાઈ, 2024 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, 17 જુલાઈની રાત્રે, YSR કોંગ્રેસ સાથે સંકળાયેલા શેખ રસીદ પર આંધ્રપ્રદેશના પલાનાડુ જિલ્લાના વિનુકોંડામાં સ્થાનિક ટીડીપી નેતા શેખ જિલાની દ્વારા તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં શેખ રશીદ ગંભીર રીતે ઘાયલ થયા હતા, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. આ મામલામાં YSR કોંગ્રેસના અધ્યક્ષ વાયએસ જગન મોહન રેડ્ડીએ શેખ રશીદની હત્યાને લઈને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની ટીકા કરી હતી.
અમારી વધુ તપાસમાં અમને ઉપરોકત આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. financialexpress.com | india.com | timesofindia.indiatimes.com
અમારી વધુ તપાસમાં અમને ધ હિંદુની વેબસાઈટ પર પ્રકાશિત એક અહેવાલ પણ મળ્યો હતો, જેમાં ટીડીપીએ એ દાવાને ફગાવી દીધો હતો કે, આરોપી એસકે જિલાની તેની પાર્ટી સાથે સંકળાયેલો છે. ટીડીપીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, આરોપી અને પીડિત બંને YSR કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા છે અને બંને YSRના શક્તિશાળી નેતા પીએસ ખાનના સમર્થક છે અને બંને ગુનાહિત ભૂતકાળ ધરાવે છે.
અમને 26 જુલાઈ, 2024ના રોજ પલાનાડુ પોલીસના અધિકૃત ફેસબુક પેજ પર શેર કરવામાં આવેલી એક પોસ્ટ પણ મળી, જેમાં આ ઘટના અંગે સ્થાનિક વિનુકોંડા પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સનો વીડિયો હતો. વીડિયોમાં પોલીસે જણાવ્યું કે, 17 જુલાઈ, 2024ના રોજ વિનુકોંડા શહેરના મુલ્લામુરુ બસ સ્ટેન્ડ પાસે શેખ રશીદની હત્યા કરનાર શેખ જિલાનીની ધરપકડ કરવામાં આવી છે અને તેને રિમાન્ડ પર લેવામાં આવ્યો છે અને આ હત્યામાં કોઈ રાજકીય એન્ગલ નથી.
અમે આંધ્રપ્રદેશ પોલીસની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લીધી અને આ કેસમાં નોંધાયેલી FIR જોઈ. એફઆઈઆર (184/2024) મુજબ, ઘટનાના આરોપીઓમાં જિલાની, પઠાણ અબુબકર સિદ્દીકી (ઉર્ફે સિદ્ધુ), શફી, ઈમરાન, એમ્બ્યુલન્સ રફી, જિમ જાની અને સાયબા છે. મૃતકનું નામ શેખ રાશિદ છે. આ માહિતી પરથી સ્પષ્ટ થાય છે કે, વાયરલ વીડિયો આંધ્રપ્રદેશના પલનાડુ જિલ્લામાં થયેલી હત્યાનો છે અને આ ઘટનામાં કોઈ સાંપ્રદાયિક પાસું સામેલ નથી, કારણ કે આરોપી અને મૃતક બંને મુસ્લિમ છે.
જો કે તાજેતરમાં મુંબઈના ધારાવી ખાતે એક હિંદુ યુવક અરવિંદ વૈધની બે મુસ્લિમ યુવક આરીફ અને નિયાઝ દ્વારા ચાકુથી હત્યા કરવામાં આવી હતી. એ સમાચાર તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જાહેરમાં ધારદાર હથિયાર વડે યુવકની હત્યાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ મુંબઈનો નહીં પરંતુ આંધ્રપ્રદેશના વિનુકોંડા ખાતે બનેલી ઘટનાનો છે. જેમાં કોઈ પણ સાંપ્રદાયિક એંગલ નથી. આ ઘટનામાં હુમલાખોર અને ભોગ બનનાર બંને મુસ્લિમ ધર્મના જ યુવકો હતા. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી અને ભ્રામક માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)
Title:જાણો જાહેરમાં થઈ રહેલી એક યુવકની હત્યાના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય...
Written By: Vikas VyasResult: False