
તાજેતરમાં સોશિયલ મીડિયા પર 5જી સ્પેક્ટ્રમની હરાજીના સમાચાર સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલી એક પોસ્ટના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, 5જી સ્પેક્ટ્રમની હરાજીમાં સરકારને 2.8 લાખ કરોડનું નુકશાન થયું છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, ભારતમાં 5જી સ્પેક્ટ્રમની હરાજીમાં સરકારને 1.5 લાખ કરોડ રુપિયાનો ફાયદો થયો છે. આ માહિતીને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક રીતે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
આમ આદમી ભાવનગર નામના ફેસબુક પેજ દ્વારા 03 ઓગષ્ટ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં એવું લખવામાં આવ્યું છે કે, 5G સ્પેક્ટ્રમ ની હરાજી માં સરકાર ને 2.8 લાખ કરોડ ની નુકશાની… #જીઓ_ધન_ધના_ધન. આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, 5જી સ્પેક્ટ્રમની હરાજીમાં સરકારને 2.8 લાખ કરોડનું નુકશાન થયું છે.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે સૌપ્રથમ ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ સરકારને 5જી સ્પેક્ટ્રમની હરાજીમાં 2.8 લાખ કરોડનું નુકશાન થયું હોય એવા કોઈ જ સમાચાર પ્રાપ્ત થયા નહતા.
ત્યાર બાદ અમને ટીવી9 ગુજરાતી દ્વારા 01 ઓગષ્ટ, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, 7 દિવસમાં 5જી સ્પેક્ટ્રમની હરાજીના કુલ 40 રાઉન્ડ થયા, જેમાં ટેલિકોમ કંપનીઓએ બોલી લગાવી. સરકારને 1.5 લાખ કરોડ રૂપિયાની આવક થઈ છે. સરકારની આ કમાણી તેના અંદાજ કરતાં વધુ છે.

અમારી વધુ તપાસમાં અમને 5જી સ્પેક્ટ્રમની હરાજીના આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. gujaratsamachar.com | zeenews.india.com
હવે એ પણ જાણવું ખૂબ જ જરુરી હતું કે, 5જી સ્પેક્ટ્રમની હરાજીમાં સરકારને 2.8 લાખ કરોડનું નુકશાન થયું એ માહિતી કેવી રીતે વાયરલ થઈ?
અમારી વધુ તપાસમાં અમને એક ટ્વિટર યુઝર દ્વારા 3 ઓગષ્ટ, 2022 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં ટાઈમ્સ બિઝનેશ નામના એક સમાચારપત્રના શીર્ષકમાં એવું લખેલું જોવા મળ્યું કે, ભારતને 5જી સ્પેક્ટ્રમની હરાજીમાં 2.8 લાખ કરોડ રુપિયાનું નુકશાન.
ઉપરોક્ત પોસ્ટમાં મૂકવામાં આવેલા સમાચારપત્રને ધ્યાનથી જોતાં અમને એ જાણવા મળ્યું હતું કે, આ સમાચાર 2 ઓગષ્ટના રોજ છપાયેલા છે. તો અમે આ અંગે જુદા-જુદા કીવર્ડીથી સર્ચ કરતાં અમને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રાષ્ટ્રીય સંપાદક પંકજ ડોવાલ દ્વારા આજ ફોટો સાથે કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. પરંતુ આ સમાચારના શીર્ષકમાં એવું લખાવામાં આવ્યું છે કે, સરકારને 5જી સ્પેક્ટ્રમની હરાજીમાં 1.5 લાખ કરોડની કમાણી થઈ છે.
ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ થાય છે કે, ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સમાચારપત્રના શીર્ષકમાં એડિટીંગ કરીને ફોટો વાયરલ કરવામાં આવ્યો જેના કારણે સોશિયલ મીડિયા પર એવી માહિતી વાયરલ થઈ કે, સરકારને 5જી સ્પેક્ટ્રમની હરાજીમાં 2.8 લાખ કરોડ રુપિયાનું નુકશાન થયું.
નીચે તમે ઓજીનલ ફોટો અને એડિટીંગ કરેલા ફોટો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અર્ધસત્ય હોવાનું સાબિત થાય છે કારણ કે, ભારતમાં 5જી સ્પેક્ટ્રમની હરાજીમાં સરકારને 1.5 લાખ કરોડ રુપિયાનો ફાયદો થયો છે. આ માહિતીને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક રીતે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:5જી સ્પેક્ટ્રમની હરાજીમાં ભારતને થયું 2.8 લાખ કરોડનું નુકશાન…! જાણો શુ છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
