
તાજેતરમાં બ્રિટનમાં 24 ઓક્ટોમ્બરે વડાપ્રધાન તરીકે ઋષિ સુનક નક્કી થયા છે ત્યારે સોશિયલ મીડિયા ઋષિ સુનકના કેટલાક વીડિયો અને ફોટા વાયરલ થઈ રહ્યા છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બ્રિટનના પ્રધાનમંત્રી બન્યા બાદ ઋષિ સુનકે બ્રિટનની પાર્લામેન્ટના દરવાજા પર દીવો પ્રગટાવ્યો તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ઋષિ સુનકનો દીપ પ્રગટાવી રહેલો ફોટો તેમના પ્રધાનમંત્રી બન્યા પહેલાં તેઓ 12 નવેમ્બર, 2020 ના રોજ તેમના નિવાસસ્થાન ડાઉનસ્ટ્રીટ ખાતે દિવાળી પર્વની ઉજવણી માટે દીપ પ્રગટાવ્યો તે સમયનો છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યા છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Hemisha Thakkar નામના ફેસબુક યુઝર દ્વારા 24 ઓક્ટોમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, 200 વર્ષ ની ગુલામી નો જવાબ આજે એક ભારતીય મુળના ઋષિ સોનાકે બ્રિટેન ની પાર્લિયામેન્ટ નાં દરવાજા પર દીપ પ્રગટાવી આપ્યો. આજે દિવાળી નાં પવિત્ર દીવસે ઋષિ સુનાક બ્રિટેન નાં પ્રાઈમ મિનિસ્ટર બન્યાં. ઋષિ સુનાક ને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ #rushisunak. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બ્રિટનના પ્રધાનમંત્રી બન્યા બાદ ઋષિ સુનકે બ્રિટનની પાર્લામેન્ટના દરવાજા પર દીવો પ્રગટાવ્યો તેનો આ ફોટો છે.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને news18.com દ્વારા 13 નવેમ્બર, 2020 ના રોજ પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટા સાથેના સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ઋષિ સુનકે દિવાળીના પર્વ પર તેમના નિવાસસ્થાન ડાઉનસ્ટ્રીટ ખાતે રંગોળી સજાવીને દીપ પ્રગટાવ્યો હતો તેનો આ ફોટો છે.

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. economictimes.indiatimes.com | india.com
અમારી વધુ તપાસમાં અમને આજ ફોટો સાથેનો વીડિયો બ્રિટનના નવા પ્રધાનમંત્રી ઋષિ સુનક દ્વારા પણ 14 નવેમ્બર, 2020 ના રોજ તેમના સત્તાવાર ટ્વિટર પર કરવામાં આવેલી એક ટ્વિટમાં પ્રાપ્ત થયો હતો.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ઋષિ સુનકનો દીવો પ્રગટાવી રહેલો ફોટો તેમના પ્રધાનમંત્રી બન્યા પહેલાંનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ઋષિ સુનકનો દીપ પ્રગટાવી રહેલો ફોટો તેમના પ્રધાનમંત્રી બન્યા પહેલાં તેઓ 12 નવેમ્બર, 2020 ના રોજ તેમના નિવાસસ્થાન ડાઉનસ્ટ્રીટ ખાતે દિવાળી પર્વની ઉજવણી માટે દીપ પ્રગટાવ્યો તે સમયનો છે.

Title:દિવાળી સમયે દીપ પ્રગટાવી રહેલા ઋષિ સુનકનો જૂનો ફોટો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
