
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એબીપી અસ્મિતા નામની ગુજરાતી સમાચાર ચેનલનો એખ સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતમાં ચૂંટણી પંચે સ્વિકાર્યું કે, EVM હેક કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં ચૂંટણી ફરી વાર બેલેટ પેપરથી કરવામાં આવશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં એબીપી અસ્મિતા ચેનલના લોગો સાથેનો જે ફોટો મૂકવામાં આવ્યો છે તેને એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
પ્રવિણસિહ સોલંકી નામના ફેસબુક યુઝર દ્વારા 5 માર્ચ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળું મારવા નુ. જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતમાં ચૂંટણી પંચે સ્વિકાર્યું કે, EVM હેક કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં ચૂંટણી ફરી વાર બેલેટ પેપરથી કરવામાં આવશે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. જો ચૂંટણી પંચ દ્વારા આ પ્રકારે કોઈ નિવેદન આપવામાં આવ્યું હોય તો તે એક મોટા સમાચાર બન્યા હોય અને તેને કોઈને કોઈ મીડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા જ હોય એટલા માટે અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ નહતી.
ત્યાર બાદ અમે અમારી તપાસને આગળ વધારતાં અમને એ જાણવા મળ્યું હતું કે, પોસ્ટમાં એબીપી અસ્મિતાના લોગો સાથેનો જે ફોટો વાયરલ થઈ રહ્યો છે એમાં એબીપી અસ્મિતા ચેનલના જૂના લોગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે કારણ કે, તેનો હાલનો લોગો અલગ જ છે. વધુમાં એ પણ જાણવા મળ્યું હતું કે, એબીપી અસ્મિતા સમાચાર ચેનલના ફોન્ટ અને વાયરલ ફોટોમાં રહેલા ફોન્ટ વચ્ચે ઘણો તફાવત છે. જે તમે નીચે જોઈ શકો છો.
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે રાજ્ય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર સંજય પ્રસાદનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “ગુજરાતમાં ઈવીએમ હેક થયાનું ચૂંટણી પંચ દ્વારા સ્વિકારવામાં આવ્યું એ માહિતી તદ્દન ખોટી છે. તેમજ ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં ફરી વાર ચૂંટણી બેલેટ પેપરથી કરવામાં આવશે એવો પણ કોઈ જ નિર્ણય આજ રોજ સુધી ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવ્યો નથી. આ એક અફવા છે. લોકોએ આવી અફવાઓથી દૂર રહેવું જોઈએ.”
ત્યાર બાદ અમે એબીપી અસ્મિતાના ચેનલ હેડ રોનક પટેલનો સંપર્ક કરતાં તેઓએ પણ અમને જમાવ્યું હતું કે, “સોશિયલ મીડિયા પર અમારી ચેનલના જૂના લોગોનો દુરુપયોગ કરીને લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી વાયરલ કરવામાં આવી રહી છે. આ અંગે અમારી ચેનલ દ્વારા સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી.”
આ અગાઉ પણ એબીપી અસ્મિતા સમાચાર ચેનલના લોગો સાથે છેડછાડ કરીને ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી હતી. જે તમે અહીં જોઈ શકો છો. gujarati.factcrescendo.com | gujarati.factcrescendo.com | gujarati.factcrescendo.com | gujarati.factcrescendo.com
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા ખોટી ઠેરવવામાં આવી છે. તેમજ એબીપી અસ્મિતા ચેનલના લોગો સાથેનો જે ફોટો પોસ્ટમાં મૂકવામાં આવ્યો છે તેને એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:શું ખરેખર ગુજરાતમાં ચૂંટણી પંચે સ્વિકાર્યું કે, EVM હેક કરવામાં આવ્યા હતા…?
Fact Check By: Vikas VyasResult: False
