
જમ્મુમાં 6 માર્ચ 2021ના મોટી સંખ્યામાં રોહિંગ્યાઓની દસ્તાવેજ ચકાસણી કરવામાં આવી હતી. મૌલાના આઝાદ સ્ટેડિયમ ખાતે યોજાયેલી આ ચકાસણીમાં, 155 લોકો કોઈ દસ્તાવેજ બતાવી શક્યા નહીં. આ તમામ લોકોને હીરાનગરના હોલ્ડિંગ સેન્ટરમાં મોકલવામાં આવ્યા હતા. આ કાર્યવાહી બાદ સોશિયલ મીડિયા પર એક વ્યક્તિનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રોંહિગ્યા મુસ્લમાનની હકાલપટ્ટી કરતા તેમના દ્વારા આ પ્રકારે ધમકી આપવામાં આવી”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2017નો છે. તેમજ વિડિયોમાં દેખાતો વ્યક્તિ રોહિંગ્યા નથી. પરંતુ ભારતીય છે. આ શખ્સ રોહિંગ્યા મુસ્લમાનોની સુરક્ષા માટે તેમના સમર્થનમાં આવ્યો હતો ત્યારનો આ વિડિયો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Sinh Rajindra Dudhai નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 માર્ચ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રોંહિગ્યા મુસ્લમાનની હકાલપટ્ટી કરતા તેમના દ્વારા આ પ્રકારે ધમકી આપવામાં આવી”
FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને આ વિડિયો યુટ્યુબ પર પ્રાપ્ત થયો હતો. આ વિડિયો 22 સપ્ટેમ્બર 2017ના અપલોડ કરવામાં આવ્યો હતો. જેના પરથી એ વાત તો નક્કી હતી કે, આ વિડિયો હાલનો નથી.
તેમજ અમે અમારી પડતાલને આગળ વધારી હતી. દરમિયાન અમને 22 સપ્ટેમ્બર 2017નો જનસત્તાનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ વિડિયો બિહારના દરભંગાનો છે. આ મુસ્લિમ વ્યક્તિ મ્યાનમારમાં રોહિંગ્યાઓ વિરૂદ્ધ થયેલી હિંસા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી સુરક્ષા માંગે છે. વિડિયોમાં તે વ્યક્તિ કહી રહ્યો છે કે જો જરૂરિયાત ઉભી થાય તો દરભંગા કમિશનર પછી અમે દેશની રાજધાનીથી પણ અવાજ ઉઠાવશું. આ પછી, તેણે કથિત રીતે હિન્દુઓ અને ભારત વિરૂદ્ધ વાયરલ નિવેદનો કર્યા છે.”

ત્યારબાદ અમે દરભંગાના લહેરિયાસરાય પોલીસ સ્ટેશનના SHO એચ.એન.સિંઘનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ વ્યક્તિ રોહિંગ્યા નથી, પરંતુ દરભંગા શહેરનો જ રહેવાસી છે. આ વિડિયો વાયરલ થયા બાદ તેની સામે ગેરકાયદેસર સભા ભરવા બદલ, સરકારી કામમાં અવરોધ, શાંતિ ખલેલ પહોંચાડવા અને અન્ય ધર્મ વિરૂદ્ધ અપશબ્દ કહેવા બદલ જૂદી-જૂદી ધારાઓ સાથે વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. CJM કોર્ટ દરભંગામાં હજુ કેસ ચાલી રહ્યો છે. આ મામલે હજી સુધી કોઈ ચુકાદો આવ્યો નથી.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2017નો છે. તેમજ વિડિયોમાં દેખાતો વ્યક્તિ રોહિંગ્યા નથી. પરંતુ ભારતીય છે. આ શખ્સ રોહિંગ્યા મુસ્લમાનોની સુરક્ષા માટે તેમના સમર્થનમાં આવ્યો હતો ત્યારનો આ વિડિયો છે.

Title:શું ખરેખર રોહિંગ્યા મુસ્લમાન દ્વારા હાલમાં ભારતમાંથી હકાલપટ્ટી કરાતા ધમકી આપવામાં આવી….?
Fact Check By: Yogesh KariaResult: False