
“અમરેલી હાર્દિક સેના” નામના પેજ દ્વારા ગત તારીખ 16 એપ્રિલના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી અને તેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે. લોહીની બોટલ પર સરકાર દ્વારા 12.5% GST લગાડવામાં આવ્યો છે જેના લીધે 850માં મળતી બોટલ 1250માં મળશે. આ પોસ્ટ પર 164 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા 4 લોકોએ પોતાના મંતવ્ય જણાવ્યા હતા અને 1100થી વધૂ લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી.
ઉપરોક્ત પોસ્ટમાં કરવામા આવેલા દાવાની પડતાલ કરવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ કાર્યવાહી શરૂ કરી હતી અને સૌપ્રથમ અમે https://www.commercialtax.gujarat.gov.in ની મુલાકાત લીધી હતી. ત્યાંથી અમને જાણવા મળ્યુ હતુ કે, સરકાર દ્વારા મનુષ્યના લોહીની બોટલ પર કોઈપણ પ્રકારનો જીએસટી ચાર્જ લગાડવામાં આવ્યો નથી.

ત્યારબાદ અમે ગુજરાતની બ્લડ બેંકનો સંપર્ક કરી અને આ અંગે માહિતી મેળવવા પ્રયાસ કર્યો હતો, ત્યાથી અમને જાણવા મળ્યુ હતુ કે, લોહીની બોટલ પર કોઈપણ પ્રકારનો GST ચાર્જ વસુલવામાં આવતો નથી, બ્લડબેંક દ્વારા પણ લોહીનુ પરિક્ષણ જે કરવામાં આવે છે, તેનો ચાર્જ વસુલવામાં આવે છે. આમ, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવા મુજબ મનુષ્યના લોહીની બોટલ પર કોઈ પણ જીએસટી ચાર્જ ગુજરાતની કોઈપણ બ્લડ બેંક દ્વારા વસુલવામાં આવતો નથી.

ત્યાર બાદ પણ અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી ચાલુ રાખી હતી અને એકાઉન્ટના સલાહાકારનો સંપર્ક કર્યો હતો, તેમને પણ અમને જણાવ્યુ હતુ કે, હજુ સુધી તો સરકાર દ્રારા આ પ્રકારે કોઈ જીએસટી ચાર્જ મનુષ્યના લોહી પર લગાવવામાં આવ્યો નથી.
પરિણામ
આમ, અમારી પડતાલ તપાસમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, સરકાર દ્વારા મનુષ્યના લોહીની બોટલ પર કોઈ પણ પ્રકારનો જીએસટી ચાર્જ લગાડવામાં આવ્યો નથી અને ગુજરાતની કોઈપણ બ્લડબેંક દ્વારા જીએસટી ચાર્જ વસુલવામાં આવતો નથી.

Title:લોહીની બોટલ ઉપર પણ સરકાર GST વસુલ કરશે? જાણો શું છે સત્ય…….
Fact Check By: Frany KariaResult: False
