
તાજેતરમાં સોશિયલ મીડિયા પર તૂટેલા રેલવે ટ્રેકનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઝારખંડ ખાતે ખેડૂતોએ ઓક્સિજનની ટ્રેનને રોકવા માટે રેલવે ટ્રેકને નુકશાન પહોંચાડ્યું તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, ઝારખંડના ચક્રધરપુર ખાતે ખેડૂતોએ નહીં પરંતુ નક્સલીઓએ હાવડા અને મુંબઈના રેલવે ટ્રેકને ઉડાવી દીધો હતો તેનો આ ફોટો છે. નક્સલીઓએ 26 એપ્રિલના રોજ બંધનું એલાન આપ્યું હતું અને એના સંદર્ભમાં જ આ રેલવે ટ્રેકને નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું. આ ઘટનાને ઓક્સિજનની અવરજવર સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોસિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Rocky Bhai Hindu નામના ફેસબુક યુઝર દ્વારા 27 એપ્રિલ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, કૃષિબીલના વિરોધમાં આપણા દેશના કહેવાતા અન્નદાતાઓ એ ઝારખંડ પાસે રેલવે ટ્રેકને નુકસાન પહોંચાડીને ઓક્સિજન ની ટ્રેન સમયસર ના પહોંચી શકે એના માટે સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું. કોરોના બીમારી તો એકદિવસ જતી રહેશે પણ આ સડો દૂર થશે ? ધન્ય છે આ ખેડૂતોને..પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઝારખંડ ખાતે ખેડૂતોએ ઓક્સિજનની ટ્રેનને રોકવા માટે રેલવે ટ્રેકને નુકશાન પહોંચાડ્યું તેનો આ ફોટો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને ANI દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો 26 એપ્રિલ, 2021 ના રોજ તેના સત્તાવાર ટ્વિટર પર અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ઝારખંડના સોનુઆ અને ચક્રધરપુરને જોડતા રેલવે ટ્રેકને નક્સલીઓ દ્વારા ઉડાવી દેવામાં આવ્યો હતો એવું ચૈબાસાના એસપીએ જણાવ્યું હતું.
આજ માહિતી અને ફોટો સાથેના સમાચાર Prasar Bharati News Services દ્વારા 26 એપ્રિલ, 2021 ના રોજ તેના ટ્વિટર પર મૂકવામાં આવ્યા હતા.
પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેની માહિતીના સમાચાર અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે અહીં જોઈ શકો છો. bihar.punjabkesari.in | tv9hindi.com | navbharattimes.indiatimes.com
આજ માહિતી સાથેના સમાચાર ન્યૂઝ 18 બિહાર ઝારખંડ દ્વારા પણ 26 એપ્રિલ, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ઝારખંડના ચક્રધરપુર ખાતે ખેડૂતોએ નહીં પરંતુ નક્સલીઓએ હાવડા અને મુંબઈના રેલવે ટ્રેકને ઉડાવી દીધો હતો તેનો આ ફોટો છે.

Title:શું ખરેખર ઝારખંડ ખાતે ખેડૂતોએ ઓક્સિજનની ટ્રેનને રોકવા માટે રેલવે ટ્રેક ઉડાવ્યો તેનો આ ફોટો છે…?
Fact Check By: Vikas VyasResult: False
