
તાજેતરમાં સોશિયલ મીડિયા પર અભિનેતા અજય દેવગણના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિનેતા અજય દેવગણને માર મારવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો બે કાર એકબીજા સાથે ટકરાવાને કારણે બે જૂથો વચ્ચે થયેલી મારામારીનો છે. અજય દેવગણ દ્વારા આ માહિતી ખોટી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ વીડિયોને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
With Congress Gujarat નામના ફેસબુક પેજ દ્વારા 23 માર્ચ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, રાહુલે કહેલું જનતા મારશે, ખેડુ વિરોધી ભાજપ MLA પછી અજય દેવગણ ને જનતાએ ફટકાર્યો.. શેયર કરજો. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિનેતા અજય દેવગણને માર મારવામાં આવ્યો તેનો આ વીડિયો છે.
Facebook Post | Archive | Video Archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. આ મહિનાની શરુઆતમાં અજય દેવગણની કારને એક કિસાન આંદોલનના સમર્થક દ્વારા રોકવામાં આવી હતી જેના કારણે હવે અજય દેવગણને માર મારવામાં આવ્યો છે કે કેમ? એ પણ તપાસ કરવી જરુરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને India Today ના સત્તાવાર યુટ્યુબ પર અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો સાથેના સમાચાર પ્રાપ્ત થયા હતા. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ ઘટના શુક્રવારે રાત્રે દિલ્હીના એરોસિટી ખાતે બની હતી. જ્યાં બે વ્યક્તિઓની કાર એકબીજા સાથે અથડાઈ જતાં બબાલ થઈ હતી. આ સમાચારમાં ક્યાંય પણ અભિનેતા અજય દેવગણના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
એનડીટીવીના અહેવાલ અનુસાર, આ કેસમાં બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તેમના નામ તરનજીતસિંહ (31, જનકપુરી નિવાસી) અને નવીનકુમાર (29, ચાવલા રહેવાસી) છે.
જ્યારે તરનજીતસિંહ અને નવીનકુમાર એરોસિટીમાંથી બહાર નીકળ્યા ત્યારે બંનેની કાર ટકરાતાં આ ઘટના બની હતી.
ટાઇમ્સ નાઉ સાથેની વાતચીતમાં દિલ્હી એરપોર્ટના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસે ટ્વિટ કરીને કહ્યું કે, દિલ્હી એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને બંને જૂથોના લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસની વધુ તપાસ ચાલી રહી છે.
અજય દેવગણ દ્વારા કરવામાં આવ્યો ખુલાસો
સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ તેમના દ્વારા એક મીડિયા અહેવાલમાં એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે, આ વીડિયોમાં અજય દેવગણ નથી. તેઓ છેલ્લા 14 મહિનાથી દિલ્હી ગયા જ નથી.
“જાન્યુઆરી 2020 ની તાનાજી ફિલ્મ બાદ અભિનેતા અજય દેવગણ દિલ્હી ગયા જ નથી. દિલ્હી ખાતે અજય દેવગણને માર મારવામાં આવ્યો હોવાની માહિતી તદ્દન ખોટી છે. અજય દેવગણ તાજેતરમાં મુંબઈ ખાતે ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. એટલા માટે કોઈએ પણ અફવાઓ પર વિશ્વાસ ન કરવો જોઈએ”.
વધુમાં અભિનેતા અજય દેવગણ દ્વારા તેમના સત્તાવાર ટ્વિટર પર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો સાથેની માહિતી ખોટી હોવા અંગે 29 માર્ચ, 2021 ના રોજ એક ટ્વિટ કરવામાં આવી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો બે કાર એકબીજા સાથે ટકરાવાને કારણે બે જૂથો વચ્ચે થયેલી મારામારીનો છે. અજય દેવગણ દ્વારા આ માહિતી ખોટી હોવાનું જણાવવામાં આવ્યું છે.
