
હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, સિંહ જંગલના અંધારામાં જઈ રહ્યો છે. જેયારે તેને દૂર ઉભેલા લોકો ટોચ વડે જોઈ રહ્યા છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ચોટીલાના ડુંગર પર રાત્રિના સિંહ જોવા મળ્યો હતો.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 21 માર્ચ 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ચોટીલાના ડુંગર પર રાત્રિના સિંહ જોવા મળ્યો હતો.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને આ જ વીડિયો યુટ્યુબ પર ચાર વર્ષ પહેલા 1 જૂન 2021ના અપલોડ કરેલો પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “આ વીડિયો વૈષ્ણવદેવી મંદિર પાસેનો છે.”
તેમજ વર્ષ 2022માં આ જ વીડિયો હરિયાણાના મહેન્દ્ર ગઢ જિલ્લાના નામે વાયરલ થયો હતો. જેની પડતાલ ઈટીવી ભારત દ્વારા કરવામાં આવી હતી. જે તમે આ લિંક પર ક્લિક કરી વાંચી શકો છો.
તેમજ આ વીડિયો વર્ષ 2021માં ગઢશંકરના નામે પણ વાયરલ થયો હતો. જે તમે આ લિંક પર ક્લિક કરી વાંચી શકો છો.
ત્યારબાદ અમારી પડતાલને આગળ વધારી હતી, અમે સુરેન્દ્રનગર જિલ્લાના ફોરેસ્ટ ઓફિસરનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “સુરેન્દ્રનગર જિલ્લાની હદમાં આવતા જંગલોમાં એક પણ સિંહ સ્પોટ થયો નથી તેમજ આ વીડિયો ઘણા સમયથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ચોટીલાના ડુંગર પર સિંહ જોવા મળ્યો હોવાની વાત તદ્દન ખોટી છે.”
તેમજ અમે વધુ તપાસ માટે ચોટીલા મંદિરનો પણ સંપર્ક સાધ્યો હતો. ત્યાંથી પણ અમને જણાવવામાં આવ્યુ હતુ કે, “આ પ્રકારના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. પરંતુ એકપણ વીડિયો ચોટીલાનો નથી. સિંહનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે પ્રકારની કોઈ જગ્યા જ ચોટીલાના ડુંગર પર નથી.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ચોટીલાનો નથી. આ વીડિયો છેલ્લા ચાર વર્ષથી ઈન્ટરનેટ પર અલગ-અલગ સ્થળોના નામે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શું ખરેખર ચોટીલાના ડુંગર પર રાત્રિ દરમિયાન સિંહ જોવા મળ્યો…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
