
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક CCTV વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વડોદરા ખાતે બનેલી ઘટનાનો આ વીડિયો છે જેમાં વડોદરામાં આવેલી બાવાની ગેંગે રુદ્રાક્ષ આપીને વશીકરણ દ્વારા એક વ્યક્તિને લૂટી લીધો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વડોદરાનો નહીં પરંતુ રાજકોટમાં બનેલી ઘટનાનો છે. આ વીડિયોને વડોદરા કે બાવાઓની ગેંગ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 7 નવેમ્બર, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, વડોદરા માં બાવાની ગેંગ આવી છે
જે રુદ્રાક્ષ નો પારો આપી ને વશીકરણ કરી ને લૂંટ કરે છે બધાજ લોકે ને સચેત રહેવા વિનંતી.
આ બાવા વ્હાઈટ i 10 ગાડી લઈ ને આવેલા હતા .
આવા બાવા ને કઈ આપવું નઈ અને કઈ વાત ચીત પણ કરવી નઈ .
નંબર પ્લેટ કાઢીને ગાડી આવે છે ખાસ ચેતજો
ખોડિયાર નગર લકુલેશ પાસે આજરોજ એક કલાકમાં બે બનાવ બનેલા છે. પાણીનો ગ્લાસ માગે છે પીવા માટે આપવો નહીં.
આપણી નજર બાંધી લે છે.
જાગૃત વ્યક્તિઓ વધારે વધારે જાગૃત બને.
આ મેસેજ આજુબાજુના દસ વ્યક્તિઓને મોકલવો જેથી કરીને કોઈના ઘરમાં રહેલા દાગીના તેમજ પૈસા બચાવી શકાય.
04/11/2024 ના રોજ નો બનાવ
*ખૂબ જ સત્ય ઘટના*. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વડોદરા ખાતે બનેલી ઘટનાનો આ વીડિયો છે જેમાં વડોદરામાં આવેલી બાવાની ગેંગે રુદ્રાક્ષ આપીને વશીકરણ દ્વારા એક વ્યક્તિને લૂટી લીધો.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમે વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને આજ વીડિયો સાથેના સમાચાર ન્યાલ કરણ ન્યૂઝ દ્વારા 5 નવેમ્બર, 2024 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, રાજકોટના લોખંડના વેપારીનું મહારાજ કરી ગયા.
ઉપરોક્ત આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Youtube Video 1 | Youtube Video 2
અમારી વધુ તપાસમાં અમને એક ઈન્સ્ટાગ્રામ યુઝર દ્વારા આજ વીડિયો સાથેની પોસ્ટ 26 સપ્ટેમ્બર, 2024 ના રોજ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, રાજસમંદ જિલ્લાના દેવગઢ તાલુકાના રાન ગામના પ્રભુલાલજી ગુર્જર રાજકોટમાં એક મોટા ઉદ્યોગપતિ છે. જેમના ગોડાઉન પર એક મહાત્મા આવ્યા હતા. જે વશીકરણ મંત્ર દ્વારા 2 લાખ 68 હજાર પાંચ સો રુપિયા રોકડા તેમજ 2 તોલા સોનાની ચેન લઈને ફરાર થઈ ગયા હતા.
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે રાજકોટના સ્થાનિક પત્રકારનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, આ ઘટના રાજકોટમાં જ બની હતી. જેની પોલીસ તપાસ ચાલુ છે.
ત્યાર બાદ અમે એ જાણવાની કોશિશ કરી હતી કે, શું ખરેખર આવી કોઈ બાવાઓની ગેંગ હાલમાં સક્રિય થઈ છે કે કેમ?
અમારી તપાસમાં અમને ગુજરાત પોલીસ દ્વારા 7 નવેમ્બર, 2024 ના રોજ આ અંગે સ્પષ્ટતા કરતી એક ટ્વિટર પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એ માહિતી આપવામાં આવી હતી કે, રાજ્યમાં સાધુ સંતોનો વેશ ધારણ કરીને ધાર્મિક પ્રવૃત્તિઓની આડમાં વશીકરણ કરીને લૂંટ કરવામાં આવે છે જે માત્ર અફવા છે જેથી આવી અફવાઓથી સાવધાન રહો અને અન્યને પણ જાગૃત કરો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વડોદરાનો નહીં પરંતુ રાજકોટમાં બનેલી ઘટનાનો છે. આ વીડિયોને વડોદરા કે બાવાઓની ગેંગ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Title:જાણો વડોદરામાં બાવાની ગેંગ આવી હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
