
તાજેતરમાં સોશિયલ મીડિયા પર સમાધિ પર ચાદર ચઢાવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેદ્ર મોદી મુસ્લિમ ધર્મની દરગાહ પર ચાદર ચઢાવી રહ્યા છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચાદર ચઢાવતો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2018 નો છે. જ્યારે તેઓ ઉત્તરપ્રદેશના મગહર ધામ ખાતે સંત કબીરના સમાધિ સ્થળ પર પહોંચ્યા હતા અને ત્યાં ચાદર ચઢાવી હતી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 8 જાન્યુઆરી, 2026ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ભાજપની આ રાજનીતિમાં જ કોંગ્રેસ જીતતી નથી, AAP ને પણ નહીં જીતવા દે. આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેદ્ર મોદી મુસ્લિમ ધર્મની કબર પર ચાદર ચઢાવી રહ્યા છે.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોનો એક સ્ક્રીનશોટ લઈને તેને રિવર્સ ઈમેજનો સહારો લઈને સહારો લઈને સર્ચ કરતાં અમને V6 News Telugu દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર પોસ્ટમાં મૂકવામાં આવેલા આ જ ફોટો સાથેના વીડિયો સમાચાર 28 જૂન, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ઉત્તરપ્રદેશના મગહર ધામ ખાતે આવેલી સંત કબીરની સમાધિની મુલાકાત લીધી હતી. સંત કબીરની 500મી પુણ્યતિથી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સમાધિ સ્થળે પહોંચ્યા હતા.
અમારી વધુ તપાસમાં આજ માહિતી અને ફોટો સાથેના સમાચાર જનસત્તા દ્વારા પણ 28 જૂન, 2018 ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યા હતા.

આ જ વીડિયો સાથેના સમાચાર અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા જે તમે અહીં જોઈ શકો છો. ABP LIVE | NEWS TAK
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચાદર ચઢાવતો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2018 નો છે. જ્યારે તેઓ ઉત્તરપ્રદેશના મગહર ધામ ખાતે સંત કબીરના સમાધિ સ્થળ પર પહોંચ્યા હતા અને ત્યાં ચાદર ચઢાવી હતી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
Title:સંત કબીરની સમાધિ પર ચાદર ચઢાવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જૂનો ફોટો અધૂરી અને ભ્રામક માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: Missing Context


