
કેરળના વાયનાડમાં ભારે વરસાદને પગલે ભૂસ્ખલનને કારણે ચારે તરફ તબાહી સર્જાઈ છે. ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં મૃત્યુઆંક 413 પર પહોંચી ગયો છે. હજુ પણ 152 લોકો ગુમ છે અને તેમની શોધ 10મા દિવસે પણ ચાલુ છે. આ વચ્ચે એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વાયનાડ ભૂસ્ખલન બાદ ચાલી રહેલી રેસ્ક્યુ કામગીરીનો આ ફોટો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 02 ઓગસ્ટ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વાયનાડ ભૂસ્ખલન બાદ ચાલી રહેલી રેસ્ક્યુ કામગીરીનો આ ફોટો છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને 9 ઓગસ્ટ 2020ના બિઝનેસ સ્ટાન્ડર્ડ દ્વારા પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “ઇડુક્કી જિલ્લાના પેટીમુડી ખાતે ભારે વરસાદને પગલે ભૂસ્ખલન બાદ NDRFના જવાનો બચી ગયેલા લોકો માટે બચાવ કામગીરી હાથ ધરી હતી.”
તેમજ વધુ સર્ચ કરતા અમને લાઈવ મિન્ટનો 9 ઓગસ્ટ 2020નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ તસ્વીર પીટીઆઈ દ્વારા લેવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યુ હતુ.
2020 ઇડુક્કી ભૂસ્ખલન
ઓગસ્ટ 2020માં કેરળના ઇડુક્કી જિલ્લામાં વિનાશક ભૂસ્ખલન થયું. 7 ઓગસ્ટ, 2020ના ભારે વરસાદને કારણે રાજમાલાના પેટીમુડી વિસ્તારમાં ભૂસ્ખલન થયું, જેમાં ચાના બગીચાના કામદારોની વસાહત દટાઈ ગઈ. આ દુર્ઘટનાના પરિણામે ઓછામાં ઓછા 49 મૃત્યુની પુષ્ટિ થઈ હતી અને ઘણા લોકો ગુમ થયા હતા. પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ અને મુશ્કેલ ભૂપ્રદેશને કારણે બચાવ અને રાહત કામગીરીમાં નોંધપાત્ર પડકારોનો સામનો કરવો પડ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલમાં વાયનાડમાં થયેલા ભૂસ્ખલન બાદનો નહીં પરંતુ વર્ષ 2020માં ઈડુક્કીમાં થયેલા ભૂસ્ખલનનો છે. હાલની વાયનાડની ઘટના સાથે કોઈ સબંધ નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:Fake Check: વર્ષ 2020ના કેરળના ફોટોને હાલમાં વાયનાડમાં થયેલા ભૂસ્ખલનના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: Missing Context
