
તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે, સંવિધાનનું નિર્માણ મહાત્મા ગાંધીએ કર્યું હતું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટ કરેલો છે. વાસ્તવિક વીડિયોમાં રાહુલ ગાંધી સંવિધાન નિર્માણ પર બોલતાં પહેલાં બાબાસાહેબ આંબેડકરનું નામ બોલે છે અને પછી મહાત્મા ગાંધીની વાત કરે છે પરંતુ વાયરલ વીડિયોમાં આંબેડકરના નામનો ભાગ કાઢી દેવામાં આવ્યો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 23 ઓગસ્ટ, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે, સંવિધાનનું નિર્માણ મહાત્મા ગાંધીએ કર્યું હતું.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ ગુગલનો સહારો લઈ જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને રાહુલ ગાંધીના સત્તાવાર યુટ્યુબ પર 21 ઓગસ્ટ, 2025ના રોજ અપલોડ કરવામાં આવેલો આ જ વીડિયો મળ્યો હતો. આ વીડિયો બિહારના મુંગેરનો છે, જ્યારે રાહુલ ગાંધી તેમની મતદાતા અધિકાર યાત્રા દરમિયાન જનતાને સંબોધિત કરી રહ્યા હતા. અહીં, 20મી મિનિટના સમયરેખા પર, રાહુલ ગાંધીને સ્પષ્ટપણે કહેતા સાંભળી શકાય છે: “બંધારણ કોણે બનાવ્યું? આંબેડકરજીએ પોતાનું આખું જીવન બંધારણ બનાવવામાં વિતાવ્યું. ગાંધીજીએ પોતાના જીવનનું બલિદાન આપીને બંધારણ બનાવ્યું.”
ઉપરોક્ત વીડિયોમાં વાયરલ ભાગ તમે 19.58 મિનિટ પછી જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટ કરેલો છે. વાસ્તવિક વીડિયોમાં રાહુલ ગાંધી સંવિધાન નિર્માણ પર બોલતાં પહેલાં બાબાસાહેબ આંબેડકરનું નામ બોલે છે અને પછી મહાત્મા ગાંધીની વાત કરે છે પરંતુ વાયરલ વીડિયોમાં આંબેડકરના નામનો ભાગ કાઢી દેવામાં આવ્યો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)
Title:જાણો સંવિધાનનું નિર્માણ મહાત્મા ગાંધીએ કર્યું હતું એવું કહી રહેલા રાહુલ ગાંધીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: Altered


