
તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબમાં આવેલા પૂરને લઈ મુખ્યમંત્રી ભગવંત માન વિશેની માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પંજાબમાં પૂરની પરિસ્થિતિ સમયે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પંજાબના લોકોની મુલાકાત પણ ન લીધી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પંજાબમાં પૂરની પરિસ્થિતિમાં પૂર પ્રભાવિત ક્ષેત્રોની મુલાકાત ન લીધી હોવાની માહિતી તદ્દન ખોટી છે કારણ કે, ભગવંત માને 27 ઓગસ્ટના રોજ પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને લોકોના ખબર અંતર પૂછ્યા હતા. આ માહિતી સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે…?
એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 5 સપ્ટેમ્બર, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં એવું લખવામાં આવ્યું છે કે, પંજાબ વાળા અત્યારે મોદી ભરોસે 🙏 બેવડો CM પીને પડ્યો હશે ક્યાંય દેખાતો નથી. આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પંજાબમાં પૂરની પરિસ્થિતિ સમયે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પંજાબના લોકોની મુલાકાત પણ ન લીધી.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને ગુગલનો સહારો લઈ જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને પંજાબમાં આવેલા પૂર અંગેની માહિતી સાથેના સમાચાર prokerala.com દ્વારા 3 સપ્ટેમ્બર, 2025ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, પંજાબમાં પૂરને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા માટે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ફિરોઝપુર જિલ્લાના કેટલાક વિસ્તારોની મુલાકાત લીધી અને લોકોના ખબર અંતર પૂછ્યા.

અમારી વધુ તપાસમાં અમને ઝી ન્યૂઝ દ્વારા 3 સપ્ટેમ્બરના રોજ પ્રસારિત એક વીડિયો સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં પંજાબના મુખ્યમંત્રી લોકોને મળ્યા તેનો આ વીડિયો છે.
આ ઉપરાંત અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. Jansatta | Punjab Kesari
ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર 1 સપ્ટેમ્બર, 2025ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં તેઓએ હોંશિયારપુરના મિયાની ગામની મુલાકાત લીધી તેનો વીડિયો મૂકવામાં આવ્યો છે.
ભગવંત માનના સત્તાવાર યુટ્યુબ પર પણ તમે 3 સપ્ટેમ્બરના રોજ પૂર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતનો વીડિયો જોઈ શકો છો. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને 27 ઓગસ્ટે જ પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પંજાબમાં પૂરની પરિસ્થિતિમાં પૂર પ્રભાવિત ક્ષેત્રોની મુલાકાત ન લીધી હોવાની માહિતી તદ્દન ખોટી છે કારણ કે, ભગવંત માને 27 ઓગસ્ટના રોજ પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને લોકોના ખબર અંતર પૂછ્યા હતા. આ માહિતી સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો પંજાબમાં પૂરની પરિસ્થિતિ સમયે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પંજાબના લોકોની મુલાકાત પણ ન લીધી હોવાના નામે વાયરલ થઈ રહેલી માહિતીનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
