
રશિયા યુક્રેન યુદ્ધ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યુ છે. આ વચ્ચે ઘણા યુક્રેનના લોકોએ આસપાસના દેશમાં શરણાર્થી તરીકે આશરો લેવો પડ્યો છે. આ વચ્ચે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવ્યુ કે પોલેન્ડ સરકાર દ્વારા એક પણ મુસ્લિમ શરણાર્થીઓને સ્વિકારવાની ના પાડી દિધી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 30 માર્ચ 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અમે 20 લાખ યુક્રેનિયન શરણાર્થીઓને સમાવી શકીએ છીએ, પરંતુ એક પણ મુસ્લિમ સ્થળાંતરને સ્વીકારીશું નહીં.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે એ જાણવા પ્રયત્ન કર્યો કે આ મેસેજ આવ્યો ક્યાંથી.? ત્યારે અમને જાણવા મળ્યુ હતુ કે, પોલેન્ડના સાંસદ ડોમિનિક ટાર્સિન્સકીના મીડિયા સાથેના ઈન્ટરવ્યુની એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જે તમે નીચે જોઈ શકો છો.
https://www.facebook.com/reel/1281651088687287
તેમજ આ અંગે અમે સર્ચ કરવાનું શરૂઆત કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને ચેનલ 4ની વેબસાઈટ પર પ્રસારિત કરવામાં આવેલો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જ્યાં અમને આ જ વીડિયો મળ્યો જે 18 જૂન 2018ના રોજ ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો. આ આઠ મિનિટના વીડિયોમાં પોલેન્ડના સાંસદ 1.48 મિનિટથી સ્થળાંતર કરનારાઓ વિશે સમજાવતા જોઈ શકાય છે. આ વીડિયોમાં પોલેન્ડના સાંસદ ડોમિનિક અને જર્મન ગ્રીન પાર્ટીના MEP બાર્બરા લોચબિહલેરે સ્થળાંતર કરનારાઓ પર ચર્ચામાં ભાગ લીધો હતો. આ વીડિયોમાં ડોમિનિકને એમ કહેતા સાંભળી શકાય છે કે “તે શરણાર્થીઓ વિશે નથી પરંતુ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ વિશે છે. ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અને શરણાર્થીઓ વચ્ચે તફાવત છે. જો તમે મને પૂછો કે પોલેન્ડે કેટલા મુસ્લિમ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ લીધા છે તો તે કંઈ નથી. જો તે ગેરકાયદેસર હોય તો એક પણ પોલેન્ડ આવશે નહીં. અમે 20 લાખ યુક્રેનિયનોને લીધા છે જેઓ પોલેન્ડમાં શાંતિપૂર્ણ છે. અમારા લોકો સરકાર પાસેથી આ જ અપેક્ષા રાખે છે અને તેથી જ પોલેન્ડ આટલું સુરક્ષિત છે, અમારી પાસે આતંકવાદી હુમલો નથી. આપણે લોકવાદી, રાષ્ટ્રવાદી, જાતિવાદી કહી શકીએ; મને કોઈ પરવા નથી, મને મારા પરિવાર અને મારા દેશની ચિંતા છે.”
સંબંધિત કીવર્ડનો ઉપયોગ કરીને શોધ કર્યા પછી, અમને ડોમિનિક ટાર્સિન્સકી તરફથી કરવામાં આવેલુ એક ટ્વિટ મળ્યું જ્યાં તેણે કેપ્શન સાથે તે જ વીડિયો અપલોડ કર્યો, તે એટલું જ સરળ છે!
https://twitter.com/D_Tarczynski/status/1234235542755258368
પોલેન્ડ દેશમાં મુસ્લિમ સ્થળાંતર અંગે લાંબો ઇતિહાસ ધરાવે છે. 1 ડિસેમ્બર 2018 ના રોજ સન્ડે ગાર્ડિયન લાઈવએ અહેવાલ આપ્યો કે પોલેન્ડના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન વિટોલ્ડ વાસ્ઝકોવસ્કીએ “વિશેષણો વિનાની લોકશાહી” રાષ્ટ્ર પર ભાર મૂક્યો હતો. પોલેન્ડે અગાઉ યુક્રેન અને બેલારૂસના સ્થળાંતર કરનારાઓ માટે સત્તર લાખ વિઝા આપ્યા હતા પરંતુ દેશમાં ખ્રિસ્તી અને મુસ્લિમોના મિશ્રણને ટાળવા માટે પોલેન્ડ સીરિયન અને ઉત્તર આફ્રિકન શરણાર્થીઓને સ્થળાંતર કરવા દેશે નહીં.
UAWIRE અનુસાર, પોલેન્ડના વડા પ્રધાને જણાવ્યું હતું કે તેઓ મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકાના મુસ્લિમ સ્થળાંતરીઓને સ્વીકારશે નહીં.
જો કે પોલેન્ડ મુસ્લિમ સ્થળાંતર કરનારાઓને દેશમાં સ્થાયી થવા દેવાની મંજૂરી ન આપવાના તેના નિર્ણય પર અડગ રહ્યું હોવા છતાં, વાયરલ વીડિયો વર્તમાન રશિયા-યુક્રેન યુદ્ધના સંદર્ભમાં શેર કરવામાં આવ્યો હતો જ્યારે તે વાસ્તવમાં 2018 નો જૂનો વીડિયો હતો.
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ક્યારે શરૂ થયું?
રશિયાએ 24 ફેબ્રુઆરી 2022ના રોજ યુક્રેનમાં તેનું આક્રમણ શરૂ કર્યું અને ઘણા શહેરો પર સતત હુમલો કર્યો. રશિયન દળો ખેરસન, ખાર્કીવ, કિવ, મેરીયુપોલ વગેરે જેવા શહેરો પર કબજો કરતા જોવા મળ્યા હતા. બંને દેશો વચ્ચે પરસ્પર સમજણ લાવવા માટે વાતચીત થઈ હતી પરંતુ યુક્રેન દ્વારા આત્મસમર્પણ કરવાનો ઇનકાર કર્યા પછી તે નિષ્ફળ ગઈ હતી.
વાયરલ વીડિયોનો રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ સાથે કોઈ સંબંધ નથી. આ વીડિયો 2018નો છે જ્યાં એક ઈન્ટરવ્યુમાં પોલેન્ડના સાંસદ અન્ય દેશોમાંથી લોકોના સ્થળાંતરની વાત આવે ત્યારે તેમના દેશના સ્ટેન્ડ વિશે વાત કરી રહ્યા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોલિશ નેતા ડોમિનિક ટાર્ઝિંસ્કીના નિવેદનનો આ વીડિયો લગભગ જુલાઈ 2018નો છે. તેને રશિયા-યુક્રેન યુદ્ધ સાથે કોઈ લેવાદેવા નથી. આ મેસેજને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શું ખરેખર પોલેન્ડ સરકાર દ્વારા મુસ્લિમ શરણાર્થીઓને સ્વિકારવાની ના પાડવામાં આવી…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: Misleading
