પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના અમદાવાદનો નહીં પરંતુ કર્ણાટકના રાયચુરનો છે. જ્યાં જૂની અદાવતને કારણે હુમલો કરવામાં આવ્યો હતો. અમદાવાદ સાથે આ વીડિયોને કોઈ લેવા-દેવા નથી.

છત પરથી ગણેશ વિસર્જન યાત્રા પર પત્થરમારો કરતા બે વ્યક્તિઓનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં છત પરથી યાત્રા પર પત્થરોનો ઘા કરતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગણપતિ વિસર્જન દરમિયાન પત્થરમારો કરવાની આ ઘટના અમદાવાદમાં બનવા પામી છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 06 સપ્ટેમ્બર 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગણપતિ વિસર્જન દરમિયાન પત્થરમારો કરવાની આ ઘટના અમદાવાદમાં બનવા પામી છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને B News Nation નામની યુટ્યુબ ચેનલ પર આ ઘટનાને લઈ સમાચાર અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “કર્ણાટકના રાયચુરમાં ગણપતિ વિસર્જન દરમિયાન પત્થરમારો કરવામાં આવ્યો તેનો વીડિયો છે.”
તેમજ વધુ સર્ચ કરતા અમને ન્યુઝ 18 કન્નડાનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “જૂની અદાવતને કારણે રાયચુરમાં ગણેશ વિસર્જન દરમિયાન પથ્થરમારો.”
તેમજ અમે વધુ સર્ચ કરતા અમને પબ્લિક ટીવી મીડિયા હાઉસનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “પ્રશાંત અને પ્રવીણ એક દુકાનના ટેરેસ પર ઊભા રહીને પથ્થરમારો કર્યો. યુવાનોએ વિનય કુમાર અને ગણેશને નિશાન બનાવ્યા અને શોભાયાત્રા ગંગાનિવાસ રોડ પરથી આવી રહી હતી ત્યારે પથ્થરમારો કર્યો.”
તેમજ વીડિયોને ધ્યાનથી જોયા પછી, અમને એક બિલ્ડિંગ પર શ્રી સાઈ ટેટૂ સ્ટુડિયો લખેલું મળ્યું. ગૂગલ મેપ્સ પર આ સ્થળ શોધતાં, અમને તે કર્ણાટકના રાયચુરમાં મળ્યું, જેના ગૂગલ સ્ટ્રીટ વ્યૂ પર પણ મળ્યા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના અમદાવાદનો નહીં પરંતુ કર્ણાટકના રાયચુરનો છે. જ્યાં જૂની અદાવતને કારણે હુમલો કરવામાં આવ્યો હતો. અમદાવાદ સાથે આ વીડિયોને કોઈ લેવા-દેવા નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શું ખરેખર અમદાવાદમાં ગણપતિ વિસર્જન દરમિયાન પથ્થરમારો થયો…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
