
દિલ્હીમાં આંતકવાદી હુમલાના બીજા જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાડોશી દેશ ભૂટાનના પ્રવાસે ગયા હતા. જેને લઈ તેમને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવ્યા હતા. હાલમાં સોશિયલ મીડિયામાં બંને દેશના પીએમનો ફોટો વાયરલ થી રહ્યો છે. જેમાં બંને હસતા જોવા મળી રહ્યા છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંતકવાદી હુમલાથી દુખી હોવાનું નાટક કરી રહ્યા છે અને પાડોશી દેશમાં જઈ હસી રહ્યા છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 12 નવેમ્બર 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંતકવાદી હુમલાથી દુખી હોવાનું નાટક કરી રહ્યા છે અને પાડોશી દેશમાં જઈ હસી રહ્યા છે.”

Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે વાયરલ ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને એએનઆઈની વેબસાઈટ પર 22 ફેબ્રુઆરી 2025ના પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો જેમાં આ ફોટો ઉપલબ્ધ હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “ભૂટાનના પીએમ દાશો ત્શેરિંગ તોબગેએ 20-21 ફેબ્રુઆરી દરમિયાન ભારતની તેમની સત્તાવાર મુલાકાત પૂર્ણ કરી, જે દરમિયાન તેમણે સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપ (આત્મા) ના ઉદ્ઘાટન લીડરશીપ કોન્ક્લેવમાં ભાગ લીધો. જેનું ઉદ્ઘાટન પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.”

તેમજ વધુ સર્ચ કરતા અમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવેલી પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “મારા મિત્ર પીએમ શેરિંગ ટોબગેને ફરી એકવાર મળવાનો આનંદ થયો. લીડરશીપ કોન્ક્લેવમાં તેમના સંબોધનની પ્રશંસા કરું છું. અમે ભારત અને ભૂટાન વચ્ચેની અનોખી અને ઐતિહાસિક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલનો નહીં પરંતુ ફેબ્રુઆરી 2025ની ભૂટાનના પીએમની ભારત મુલાકાત દરમિયાનનો છે. હાલના ભૂટાનના પ્રવાસ દરમિયાનની હોવાની વાત તદ્દન ખોટી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:Fact Check: ભૂટાનના પીએમ સાથેની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જૂની તસ્વીર હાલના સંદર્ભમાં વાયરલ…
Fact Check By: Frany KariaResult: Misleading


